વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે અચૂક માતા હીરા બાને મળવા ગાંધીનગર આવે છે પણ તેઓ ગત બર્થ ડે પર હિરા બાને મળી શક્યાં નહોતાં. ત્યારે ભાજપના અંગત સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં મોદીની વર્ષગાંઠના દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિશેષ કાર્યક્રમો ગોઠવાયા છે. તેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. 16મીએ નવસારીમાં કેન્દ્ર સરકારની એક યોજનાના સંદર્ભમાં ખાસ કાર્યક્રમ યોજાશે. જ્યારે બીજા દિવસે તેમની વર્ષગાંઠ છે. મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેઓ દર વર્ષગાંઠે વહેલી સવારે પોતાની માતાના આશીર્વાદ મેળવતા હતા. એ જ રીતે આ 17મી સપ્ટેમ્બરે પણ તેઓ જશે. એ દિવસે સાંજે દાહોદ જિલ્લાના ગોધરા ખાતે આદિવાસીઓને લગતી રાજ્યસરકારની એક મહત્વપૂર્ણ યોજનાનું લોકાર્પણ કરવાના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં જ વડાપ્રધાને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી જે પ્રકારે સૌની યોજનાનું લોકાર્પણ કર્યું તેવી જ મોટી અને આદિવાસીઓ માટે મહત્વની યોજનાનું તેઓ લોકાર્પણ કરશે. આ બંને કાર્યક્રમ અંગે હાલમાં અત્યંત ચુપકિદી સેવાય છે. છેલ્લી ઘડીએ પીએમઓમાંથી જુદી જ સુચના આવે ને વડાપ્રધાન ન આવી શકે, તે સંજોગોને ધ્યાનમાં રાખી જ્યાં સુધી પીએમઓમાંથી કન્ફર્મેશન ન આવે ત્યાં સુધી સત્તાવાર જાહેરાત નહીં થાય, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.