એક સપ્તાહથી શરુ થયેલા વરસાદના હળવા ઝાપટા બાદ આજ સવારથી ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. જેના સવારના પ્રથમ બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની અસંખ્ય ફરિયાદો મળી છે. છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં ૩૧૬.૦૪ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરના તમામ છ ઝોનમાં સરેરાશ ૯.૪૪ મીલીમીટર જેટલો વરસાદ વરસવા પામ્યો છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં ૧૨૦૫૦ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં ૩૧૬.૦૪ મીલીમીટર વરસાદ થયો છે. સતત જારી રહેલા વરસાદને પરિણામ પશ્ચિમ ઝોનમાં ઓએનજીસી સર્કલ પાસે પાણીની લાઈન પાસે રોડ બેસી જવા પામ્યો હતો
વસ્ત્રાપુર વિસ્તારમાં અમદવાદ હાટ પાસે વૃક્ષ તુટી પડયું હતું. નરોડા સ્મશાનથી પેટ્રોલ પંપ તરફ વે બ્રિજની બાજુમાં ફેક્ટરીની ભયજનક દિવાલ અંગેની ફરિયાદ તંત્રને મળી હતી. નર્મદા મેઇન કેનાલમાંથી સાબરમતી નદીમાં આવક ૫૬૬૦ ક્યુસેક અને કેનાલમાં જાવક ૪૬૫ ક્યુસેક છે. વાસણા બેરેજના તમામ દરવાજા હાલમાં બંધ છે.
અમદાવાદ શહેરમાં વરસાદના કારણે હાલમાં કાદવ કીચડ જોવા મળે છે. જુદા જુદા વોર્ડમાં આવેલા જાહેર માર્ગો તથા ઝુંપડપટ્ટી વિસ્તારની સફાઈ માટે દરરોજ ૧૨,૦૦૦ જેટલા સફાઈ કર્મીઓ સક્રિય થયેલા છે. કાદવ કિચડ માટી ઉપાડવા માટે ૩૫થી વધુ જેસીબી, ૩૩ બોબકેટ અને ૧૦૮ ડમ્પર મળીને કુલ ૩૫૨ વાહનો મારફતે સાફ સફાઈ કામગીરી ચાલી રહી છે. જાહેર માર્ગો, સ્લમ વિસ્તારોમાં કાદવ કિચડ સફાઈ કરવાની કામગીરીને પ્રાથમિકતા અપાઈ રહી છે.
નર્મદા ગાંડીતુર : કાંઠાનાં તમામ ગામોને એલર્ટ રહેવા સુચન
નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે ભરૂચનો ગોલ્ડન બ્રિજ ખાતે સતત જળસપાટી વધી રહી છે. હાલ આ સપાટી 18 ફુટે પહોંચી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થઇ ચુક્યો છે. તેમ છતા પણ પાણીની આવક ચાલુ રહેતા પાણી છોડાઇ રહ્યું છે. જેનાં પગલે 24 કલાકમાં જ બે ફુટ જેટલું જળ સ્તર વધી ગયું છે. હવે નર્મદા નદી તેનાં ભયાનક સ્વરૂપથી 6 ફુટ દુર રહી છે. નદીમા વધી રહેલા જળસ્તરને ધ્યાને રાખીને કલેક્ટર સંદિપ સાંગલેએ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવીને સ્થિતીની સમીક્ષા કરી હતી. કાંઠાં વિસ્તારનાં 44 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
વડોદરામાં મુશળધાર વરસાદ
વરસાદને પગલે સમગ્ર શહેરમાં જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ હતી. ભારે વરસાદનાં કારણે શહેરનાં નિચાણવાળા વિસ્તારો રાવતપુરા, કારેલીબાગ, માંજલપુર, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, પરિવાર ચાર રસ્તા સહિતનાં વિસ્તારોમાં જળબંબાકાર થઇ ગયો હતો. બીજી તરફ રેલ્વે સ્ટેશન પાછળનાં અલ્કાપુરી અંડર બ્રિજમાં પાણી ભરાઇ જતા તેને બંધ કરવામાં આવ્યો હતો. અમિત નગર સર્કલથી માંડે દાંડીયા બજાર બ્રિજ પર વાહનોનો ઠઠ્ઠ જામી ગયો હતો. સમગ્ર શહેરને વરસાદે જાણે બાનમાં લીધું હતું. વરસાદનાં કારણે લગભગ મોટા ભાગનાં તમામ ગરનાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરનાં સમા ,ગોરવા, વીઆઇપી રોડ, પરિવાર ચાર રસ્તા નજીક ઝાડો પડવાની ઘટના પણ બની હતી. બે કલાક જેટલા ઓછા સમયમાં 7 ઇંચ વરસાદ ધાબડ્યો હતો.
મોડાસામાં 5.6 ઇંચ, ધનસુરમાં 5.4 ઇંચ વરસાદ,
અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી મેઘમહેર યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 5.64 ઇંચ, ધનસુરામાં 5.4 ઇંચ, મેઘરજમાં 4.16 ઇંચ, માલપુરમાં 3.36 ઇંચ, બાયડમાં 2.16 ઇંચ અને ભિલોડામાં 1.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી
અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન ઉપર લો પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે. જેના લીધે હજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થવાની ચેતવણી જારી કરાઈ છે. તંત્ર સંપૂર્ણપણે સાવધાન થયેલું છે.હાલ સુધી રાજ્યના ૬૫થી વધુ તાલુકાઓમાં એકથી ચાર ઇંચ તેમજ ૩૪ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ સરક્યું છે. જેના લીધે ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે