Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનું ખોદી કાઢવાની હોડમાં લોકોએ આ ગામ ખોદી નાખ્યું, કલમ 144 લાગુ કરવી પડી

Webdunia
મંગળવાર, 28 મે 2024 (15:34 IST)
બાંગ્લાદેશના ઠાકુરગાંવ વિસ્તારમાં એક ઈંટ ભઠ્ઠામાં માટી ખોદીને સોનું કાઢવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સેંકડો લોકો ભેગા થયા છે.
 
ઠાકુરગંજના રાનીશંકેલ ઉપ-જિલ્લાના નિવાસી મહંતકુમારે કહ્યું, "મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે લોકોને અહીં સોનું મળી રહ્યું છે. હું પણ એટલે જ અહીં ખોદકામ કરવા આવ્યો છું."
 
સ્થાનિક વહીવટીતંત્રએ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કલમ 144 લાગુ કરવી પડી હતી. આ કારણે ભીડ તો ઓછી થઈ છે, પરંતુ ચર્ચા હજી ચાલુ છે.
 
જોકે, શું જમીનમાંથી સોનું મળવું શક્ય છે?
 
ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ હતી?
 
આરબીબી બ્રિકવર્ક્સ ઠાકુરગાંવ જિલ્લાના રાનીશંકેલ ઉપજિલ્લાના કટિહાર બજાર વિસ્તારમાં આવેલ છે.
 
ભઠ્ઠાના અધિકારીઓ ઈંટ બનાવવા માટે એક મહિના પહેલાં જ બહારથી રેતી લાવ્યા હતા.
 
ત્યારે અચનાક જાણકારી મળી કે રેતીમાં સોનું ભળેલું છે.
 
રાનીશંકેલ ઉપજિલ્લાના કાર્યકારી અધિકારી રકીબુલ હસને કહ્યું કે, "બની શકે કે શરૂઆતમાં કોઈ ટુકડો મળી ગયો હોય પણ હું આ વાતનો સ્વીકાર કરતો નથી. જોકે, આ મામલો જેટલો મોટો છે, તેના કરતા વધુ તેની અફવા ફેલાઈ ગઈ છે."
 
રકીબુલનું કહેવું છે કે ,"જોકે મેં મારી આંખે કોઈ પણ વ્યક્તિને જમીનમાંથી સોનું કાઢતા જોઈ નથી."
 
શું માટીમાંથી સોનું મળવાની વાત અફવા છે? જોકે, કેટલાક લોકો આ રીતે વિચારતા નથી.
 
સ્થાનિક પત્રકાર ફાતિમા તૂ છોગડાએ પોતાની નજરે એક વ્યક્તિને જમીન ખોદીને કંઈક કાઢતા જોઈ હતી.
 
તેમણે કહ્યું, "મારી સામે જ એક વ્યક્તિને કંઈક મળ્યું હતું. પણ એ વાતની તપાસ કરવાની કોઈ રીત નથી કે એ સોનું છે કે પીતળ. લોકો કંઈક મળે એટલે કોઈપણ વાત કર્યા વગર જ ભાગી જાય છે."
 
કાર્યકારી અધિકારીએ પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. જોકે પ્રશ્ન એ છે કે આ વાતની શરૂઆત કેવી રીતે થઈ?
 
રકીબુલ હસને કહ્યું, "માટી લગભગ એક વર્ષ પહેલાં અહીં લાવવામાં આવી હતી. જોકે, કેટલાક મજૂરોને એક મહિના પહેલાં કામ કરતી વખતે એક કે બે સોનાના સિક્કા મળ્યા હશે."
 
"ત્યાર બાદ આ વાત દરેક જગ્યાએ ફેલાઈ ગઈ કે અહીં જમીન ખોદવાથી સોનું મળે છે."
 
શરૂઆતમાં તો થોડાક જ લોકો આવ્યા, પરંતુ ધીમે-ધીમે અલગ-અલગ ઉંમરના સેંકડો લોકો અહીં આવ્યા અને ખોદકામ શરૂ કરી દીધું.
 
ખોદકામ થોડા દિવસો માટે બંધ રહ્યું, પરંતુ છેલ્લા અઠવાડિયાથી ભીડ ફરીથી વધવા લાગી. આસપાસના જિલ્લાના પણ કેટલાક લોકો સોનાની આશા સાથે અહીં આવે છે.
 
મહિલાઓ, પુરુષો અને બાળકો દિવસ-રાત જમીન ખોદે છે અને જે કંઈપણ તેમને મળે છે તે લઈ લે છે.
 
કલમ 144 કેમ લાગુ કરવામાં આવી હતી?
વહીવટીતંત્રએ સ્થિતિ પર કાબુ મેળવવા માટે શનિવારે રાતે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી.
 
ઉપજિલ્લાના અધિકારીના કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે, "ઈંટ ભઠ્ઠાની માટીના ઢગલાઓ ખોદવાથી સોનું મળી રહ્યું છે. સ્થાનિક લોકો સહિત આસપાસના કેટલાક લોકો ત્રિકમ અને પાવડા લઈને માટી ખોદી રહ્યા છે અને તે સ્થળે સોનું શોધી રહ્યા છે. સોનું મેળવવાની આશામાં કેટલાક લોકો આક્રમક થઈને લડાઈ ઝઘડો પણ કરી રહ્યા છે."
 
કાર્યકારી અધિકારી રકીબુલે બીબીસીને જણાવ્યું, "શરૂઆતમાં ઓછા લોકો હતા. છેલ્લા પાંચ-સાત દિવસોમાં વધારે લોકો આવવા લાગ્યા હતા. સ્થિતિ ખરાબ નહોતી અને નિયંત્રણમાં જ હતી. અમે નજર રાખી રહ્યા હતા. જોકે, ત્યાર બાદ અમે જોયું કે અહીં એટલા લોકો જમા થઈ ગયા છે કે આ એક બજાર ઊભું થઈ રહ્યું છે."
 
વહીવટીતંત્રએ કલમ 144 લાગુ કર્યા પછી સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઈ હતી. ઈંટનો ભઠ્ઠો સવારથી જ ખાલી છે અને કોઈને પણ ત્યા જવાની પરવાનગી નથી.
 
ખોંડાખુરીમાં ઈંટ ભઠ્ઠામાંથી માટીને હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
 
એક સ્થાનિક ટીવી પત્રકારે જિયાઉર રહમાન બકુલે કહ્યુ, "આ રેતીનો ઉપયોગ હવે ઈંટ બનાવવા માટે કરવામાં આવશે. પોલીસ ત્યાં હાજર છે અને આ વાતને સુનિશ્ચિત કરી રહી છે."
 
કોઈની પાસે સોનું મળવાના કોઈ પુરાવા નથી. જોકે, સોશિયલ મીડિયા પર આ વિશે અનેક પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે.
 
"મેં એક અફવા સાંભળી કે કોઈ માણસ ખોટાં આભૂષણો ફેંકીને મજાક કરી રહ્યો હતો."
 
ઉપ-જિલ્લા કાર્યકારી અધિકારી રકીબુલ હસને કહ્યું, "એવું પણ સાંભળવા મળ્યું છે કે કોઈ વ્યક્તિએ સિગારેટ પીને તેનો બાકીનો ભાગ ત્યાં ફેંકી દીધો અને પોસ્ટ કરી હતી કે મને 70 લાખ રૂપિયાનું સોનું મળ્યું પરંતુ તે પીતળ જેવું કંઈક હતું. તે વ્યક્તિએ તેને ત્યાં ફેંકીને આ વાતને વાઇરલ કરી દીધી હતી."
 
જોકે, બકુલનું માનવું છે કે કોઈકને તો કશું મળ્યું જ હશે નહીંતર આટલી ભીડ ન થાય.
 
પુરાતત્ત્વ ખાતાએ શું કહ્યું?
પુરાતત્ત્વ વિભાગની એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ટીમે જમીનની તપાસ કરી અને જણાવ્યું કે ત્યાં કોઈ એવાં ખનિજ નથી.
 
રકીબુલ હસને કહ્યું, "જે જમીનને ખોદવામાં આવી છે ત્યાં અનાજનાં ખેતરો છે. જોકે, બની શકે કે આ સ્થળે પહેલાં એક હિંદુ મંદિરની પાસે એક મેળાની જગ્યા હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બ્રિટિશ કાળ દરમિયાન પૂજાના સમયે કેટલાક લોકોએ અહીં દાન કરવાની માનતા રાખી હશે."
 
પત્રકાર ફાતિમા તૂ છોગડાએ કહ્યું કે સ્થાનિક કંકનાથ જમીંદારીબારીના આસપાસના વિસ્તારોમાંથી માટી ખોદીને અહીં લાવવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે તેમનો જમીનમાં દાટેલો ખજાનો આ માટીમાં હોઈ શકે છે.
 
હકીકતમાં આ ભઠ્ઠામાં ઈંટો બનાવવા માટે ઘણી જગ્યાએથી માટી લાવવામાં આવે છે.
 
પત્રકાર બકુલે કહ્યું, "થોડીક માટી મંદિરની પાસેથી અને થોડીક તળાવના કિનારા પાસેથી લાવવામાં આવી હતી. લોકોને કદાચ સિક્કા મળ્યા હશે. કારણ કે ઘણા લોકોએ સોનાના સિક્કા દાન કર્યા હતા."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments