મકરસંક્રાંતિને આડે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરનાં પતંગબજારમાં આગલા દિવસોમાં પતંગરસિકોની ભીડ જોવા મળી રહી છે. ઉતરાયણના તહેવારને લઇને હંમેશા ઉત્સાહી રહેતા અમદાવાદીઓ દ્વારા તહેવારને અનુરૂપ ખરીદી અગાઉથી જ કરી લેવાની હોય છે. ત્યારે પતંગ ઉપરાંત ફીરકીની સાથે ચાઇનીઝ ટુકકલ લેવા માટે પણ શનિવારે તેમજ રવિવારે પતંગબજારમાં ભીડ જોવા મળી હતી. ઉતરાયણનો તહેવાર નજીક આવતાની સાથે પતંગ અને ફીરકીમાં સામાન્ય વધારો થશે તેવું પતંગના વેપારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ પતંગના આકર્ષણમાં આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન તેમજ રજનીકાંતની ડિઝાઇનના પતંગોની માગ વધી છે. છેલ્લા અમુક વષોથી ચાલુ થયેલા ફટાકડાના ટેન્ડના કારણે દારૂખાનાની કિંમત પણ ખિસ્સાને પરવડે તેટલી છે. ઉતરાયણના દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી ઉજવણી કરતા રસિકોમાં આ વર્ષે ચાઇનીઝ દોરીની માગ ઘટતા આ વર્ષ દરમિયાન પતંગના વેપારીઓ દ્વારા પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ઓછું થાય તેવી શકયતા છે.