રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહન આપવા કરોડોના ઈનામોની જાહેરાત કરી છે. વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાજ્ય સરકાર પ્રોત્સાહનરૂપે આ ઈનામો આપશે.
રાજ્યમાં રમત-ગમતને અને રમતવીરોને પ્રોત્સાહન આપવા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. જેમાં રમતવીરો માટે પચ્ચીસ હજારથી લઇ પાંચ કરોડ સુધીના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત અનુસાર ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર રમતવીરને પાંચ કરોડ, સિલ્વર મેડલ મેળવનારને 3 કરોડ અને બ્રોન્ઝ મેડલ મેળવનારને 2 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારને 2 કરોડ, સિલ્વર મેડલ મેળવનારને 1 કરોડ અને બ્રોન્ઝ મેડલ જીતનારને 50 લાખ ઇનામ આપવામાં આવશે. .આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવનારને 1 કરોડ,સિલ્વર મેડલ જીતનારને 50 લાખ અને બ્રોન્ઝ મેડલ મેળવનારને 25 લાખ ઇનામ આપવામાં આવશે.. આ ઉપરાંત નેશનલ ગેમ્સ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીને રૂપિયા 3 લાખ, સિલ્વર મેડલ મેળવનારને 2 લાખ અને બ્રોન્ઝ મેડલ મેળવનારને રૂપિયા 1 લાખ ઇનામ તરીકે આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે હાલના વડાપ્રધાન નરેદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ રમતગમતને અને રમતવીરોને પ્રોત્સાહન આપવાને પ્રાધાન્ય આપ્યું હતું. આ માટે ખેલ-મહાકુંભની શરૂઆત પણ તેમના શાસનકાળમાંજ થઇ હતી. આનંદી પટેલે પણ આ પરંપરાને આગળ વધારતા રમતવીરોનો ઉત્સાહ વધારવા આ પ્રોત્સાહનરૂપ પગલું લીધું છે.