Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી પીએમ મોદીના ગુજરાતમાં ધામા, 21,000 કરોડથી વધુના પ્રોજેક્ટની આપશે ભેટ

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (10:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે. 18મી જૂનના રોજ સવારે લગભગ 9:15 વાગ્યે, પ્રધાનમંત્રી પાવાગઢ ઉપર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે, જે પછી લગભગ 11:30 વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 12:30 વાગ્યે, તેઓ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે, જ્યાં તેઓ રૂ. 21,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
 
ગુજરાત ગૌરવ અભિયાન
વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી 16,000 કરોડથી વધુના મૂલ્યની વિવિધ રેલ્વે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં સમર્પિત ફ્રેટ કોરિડોરના 357 કિલોમીટર લાંબા ન્યૂ પાલનપુર - મદાર વિભાગના રાષ્ટ્રને સમર્પણનો સમાવેશ થાય છે; 166 કિમી લાંબા અમદાવાદ-બોટાદ વિભાગનું ગેજ કન્વર્ઝન; 81 કિમી લાંબા પાલનપુર - મીઠા સેક્શનનું વિદ્યુતીકરણ. પ્રધાનમંત્રી સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે, સાથે રેલવે ક્ષેત્રમાં અન્ય પહેલનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેઓ પ્રદેશમાં કનેક્ટિવિટી પણ સુધારશે અને મુસાફરોની સુવિધાઓ વધારશે.
 
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, કુલ 1.38 લાખ મકાનો પ્રધાનમંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારોમાં આશરે રૂ. 1,800 કરોડના મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,530 કરોડથી વધુની કિંમતના મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 310 કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ 3000 ઘરોના ખાત મુહૂર્ત પણ કરવામાં આવશે.
 
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલ ખાતે રૂ. 680 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં રહેવાની સરળતા વધારવાનો છે.
 
પ્રધાનમંત્રી ગુજરાતના ડભોઈ તાલુકાના કુંધેલા ગામમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે. વડોદરા શહેરથી લગભગ 20 કિમીના અંતરે આવેલી આ યુનિવર્સિટીનું નિર્માણ આશરે રૂ. 425 કરોડના ખર્ચે કરવામાં આવશે અને તે 2500 થી વધુ વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતો પૂરી કરશે.
 
માતા અને બાળ સ્વાસ્થ્યમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, પ્રધાનમંત્રી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરશે, જેનો ખર્ચ રૂ. 800 કરોડ હશે. આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને દર મહિને આંગણવાડી કેન્દ્રોમાંથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રધાનમંત્રી ‘પોષણ સુધા યોજના’ માટે લગભગ રૂ. 120 કરોડનું વિતરણ પણ કરશે, જે હવે રાજ્યના તમામ આદિવાસી લાભાર્થીઓને વિસ્તરણ કરવામાં આવી રહી છે. આદિવાસી જિલ્લાઓની સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને પોષણ અંગેનું શિક્ષણ આપવાના પ્રયોગની સફળતા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
 
શ્રી કાલિકા માતાના મંદિરે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી પાવાગઢ ટેકરી ખાતે શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરનું ઉદ્ઘાટન કરશે. તે વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે. મંદિરનો પુનઃવિકાસ 2 તબક્કામાં કરવામાં આવ્યો છે. પુનઃવિકાસના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન થવા જઈ રહેલા બીજા તબક્કાના પુનઃવિકાસનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 2017માં કરવામાં આવ્યો હતો. આમાં મંદિરના પાયાનું વિસ્તરણ અને ત્રણ સ્તરે 'પરિસર', સ્ટ્રીટ લાઈટ્સ, સીસીટીવી સિસ્ટમ જેવી સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments