Festival Posters

કેન્દ્રની મોદી સરકારથી લોકોનો મોહભંગ - સર્વે

Webdunia
શનિવાર, 4 એપ્રિલ 2015 (12:04 IST)
વિકાસ અને ગવર્નન્‍સના વચનો અને નારાઓના દમથી ત્રણ દાયકાઓ બાદ સ્‍પષ્‍ટ બહુમતી મેળવનાર નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓના દિલો ઉપર કબજો જમાવી લીધો છે. દેશનો મિજાજ પારખવા માટે કરવામાં આવેલા એક સર્વેમાં લોકોએ નરેન્‍દ્ર મોદીને અત્‍યાર સુધીના સૌથી શ્રેષ્‍ઠ વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે પરંતુ સર્વેમાં લોકોએ મોકળા મને પોતાની પ્રતિક્રિયા આપી છે અને મોદી સરકારના કુલ કામકાજ પ્રત્‍યે અસંતોષ વ્‍યકત કર્યો છે એટલે કે મોદી સરકારની લોકપ્રિયતાનો ગ્રાફ સડસડાટ નીચે ઉતરી રહ્યો છે.

   દેશનો મિજાજ પારખતા આ સર્વેમાં જયારે સૌથી શ્રેષ્‍ઠ વડાપ્રધાન પસંદ કરવાની વાત આવી તો લોકોએ નરેન્‍દ્ર મોદીની પસંદગી કરી હતી. મોદીને અત્‍યાર સુધીના સૌથી શ્રેષ્‍ઠ વડાપ્રધાન ગણાવતા લોકોની સંખ્‍યા ૩૦ ટકા છે. જયારે ર૦ ટકા લોકોએ વાજપેઇને શ્રેષ્‍ઠ વડાપ્રધાન ગણાવ્‍યા હતા. ગયા વર્ષે ઓગષ્‍ટમાં આ સવાલના જવાબ પર ૧૧ ટકા લોકોએ મોદીને પસંદ કર્યા હતા. આ રેસમાં મોદીએ વાજપેઇ ર૦ ટકા, આ સિવાય ઇન્‍દિરા ગાંધી ૧૩ ટકા, જવાહરલાલ નહેરૂ ૮ ટકા, રાજીવ ગાંધી ૬ ટકા, લાલબહાદુર શાસ્ત્રી પ ટકા અને મનમોહન સિંહે ર ટકાને પછાડયા હતા.

   જો કે નરેન્‍દ્ર મોદીની વિકાસ પુરૂષવાળી છબીથી લોકોનો મોહભંગ થઇ રહ્યો છે. ગયા વર્ષે ૭૦ ટકા લોકોએ માન્‍યુ હતુ કે, મોદીને મળેલી બહુમતી વિકાસ માટે મળેલી બહુમતી છે પરંતુ હવે ફકત ૪૦ ટકા લોકો માને છે કે, મોદી વિકાસનું પ્રતિનિધત્‍વ કરે છે. જયારે ગત ઓગષ્‍ટમાં આ ૪૬ ટકા હતુ. બીજી તરફ ૧ર ટકા લોકો માને છે કે, મોદી ખુદ ગુડ ગવર્નન્‍સનું પ્રતિનિધિત્‍વ કરે છે. જયારે ઓગષ્‍ટ-ર૦૧૪માં આ આંકડો ર૪ ટકા હતો.

   અખબારોની હેડલાઇનમાં છવાતા લવ જેહાદ, ઘર વાપસી, હિન્‍દુ રાષ્‍ટ્ર અને વધુ બાળકો પેદા કરવાની બાબતો મોદીની છબીમાં તિરાડો ઉભી કરી રહ્યા છે. ૩૯ ટકા લોકો માને છે કે, લોકસભાની ચૂંટણીમાં મળેલો વિજય તીખા સાંપ્રદાયિક ધ્રુવીકરણનું પરિણામ હતુ. જયારે ગત વર્ષના ઓગષ્‍ટમાં આવુ માનનારાઓની સંખ્‍યા ર૧ ટકા હતી તો સાંપ્રદાયિક અસહિષ્‍ણુતાના આંકડા ગત વર્ષના ઓગષ્‍ટના ૪ ટકાથી વધીને ૧૮ ટકા સુધી પહોંચી ગયા છે. આ સિવાય ૧૬ ટકા લોકો માને છે કે, મોદી હિન્‍દુ રાષ્‍ટ્રવાદનું પ્રતિનિધિત્‍વ કરે છે જે ઓગષ્‍ટના ૯ ટકાથી વધારે છે.

   બીજી તરફ મોદી સરકારના ઓવરઓલ દેખાવને સર્વેમાં લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી. રર ટકા લોકોએ તેને શ્રેષ્‍ઠ ગણાવી. મહત્‍વની વાત એ છે કે, ઓગષ્‍ટ-ર૦૧૪માં આવા જવાબ દેનારા લોકોની સંખ્‍યા ૧૦ ટકા હતી. જો કે ૩૮ ટકા લોકો માને છે કે, મોદી સરકારનું કામ સારૂ છે. જયારે પહેલા આવુ માનનારા લોકો પ૧ ટકા હતા. ર૬ ટકા લોકો કામને સરેરાશ ગણે છે અને તે ગત ઓગષ્‍ટના ર૮ ટકાથી થોડુ ઓછુ છે.

   સત્તામાં આવ્‍યા બાદ મોદી સરકારની મોટી ઉપલબ્‍ધીમાં લોકોએ ભારતની આંતરરાષ્‍ટ્રીય છબીને ચમકાવવા માટે મોદી સરકારને સૌથી વધુ નંબર આપ્‍યા આ નંબર ૩૪ ટકા છે. ર૧ ટકા લોકો માને છે કે, બાબુશાહીમાં શિસ્‍તા આવી છે અને ૧૩ ટકા માને છે કે ભ્રષ્‍ટાચાર ઘટયો છે તો ૧૮ ટકા લોકોનું માનવુ છે કે, પ્રોજેકટોને મંજુરી મળવામાં વેગ આવ્‍યો છે.

   દેશવાસીઓને સુરક્ષા અને શાંતિનું વચન આપનાર મોદી સરકાર માટે આ મોરચે પણ ઝાટકો લાગ્‍યો છે. લોકોને જયારે પુછાયુ કે, શું તેઓ મોદી સરકારમાં સ્‍વયંને સલામત ગણો છો તો ૬૧ ટકા લોકોએ માન્‍યુ કે તેઓ મોદી સરકારના કાળમાં સુરક્ષિત છે. જયારે ઓગષ્‍ટ ર૦૧૪માં આ આંકડો ૭૬ ટકા હતો એટલે કે, સુરક્ષિત માનનારા લોકોની સંખ્‍યા ૧પ ટકા ઘટી છે. ર૬ ટકા લોકો પોતાને અસલામત ગણે છે.

   જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપને ર૭ ટકા બેઠકોનું નુકસાન થાય તેમ છે. પક્ષને રપપ બેઠકો મળે. જયારે ર૦૧૪માં ભાજપને ર૮ર બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસને અગાઉના મુકાબલે ૯ બેઠકો વધુ મળે છે અને સંખ્‍યા પ૩ થાય છે. ર૦૧૪ની ચૂંટણીમાં તેને ૪૪ બેઠકો મળી હતી.

   ૩૯ ટકા લોકોએ કહ્યુ છે કે, મોદીની ફેશન સેન્‍સ સારી છે. ર૯ ટકાએ ખરાબ ગણાવી છે તો રર ટકાને તેમાં કોઇ રસ નથી. ૪૪ ટકાએ મોદીના પ્રવાસોને પસંદ કર્યા તો ૩૯ ટકા લોકોએ નાપસંદ કર્યા છે.

   કોંગ્રેસ પાર્ટી અંગે ૪૮ ટકા લોકોએ કહ્યુ છે કે, આવતા પાંચ વર્ષમાં તે વાપસી કરી શકે તેમ છે. ૪૬ ટકાએ કહ્યુ છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષનું નસીબ બદલાવી શકે છે. ર૦ ટકા લોકો માને છે કે, રાહુલ પીએમ પદ માટે પક્ષની બેસ્‍ટ ચોઇસ છે. જયારે ૧૩ ટકાએ સોનિયાને ગણાવ્‍યા તો ૧૧ ટકાએ પ્રિયંકાની પસંદગી કરી. ૪પ ટકાએ કહ્યુ છે કે, પ્રિયંકાએ રાહુલની જગ્‍યા લઇ લેવી જોઇએ.

   કેજરીવાલ દેશના સૌથી શ્રેષ્‍ઠ મુખ્‍યમંત્રી છે તેમને ૧૭ ટકા મત મળ્‍યા છે. અખિલેશને ૮ ટકા મળ્‍યા છે, ચંદ્રબાબુ, મમતા, નવીન પટનાયક આ યાદીમાં અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે છે.

   આ સર્વે ૧૯ રાજયોની ર૬૦ વિધાનસભાઓમાં પ૧૯ જગ્‍યા પર ૧ર૧૬૧ લોકોને મળીને થયો છે. આ માટે ૧ થી ૧૪ માર્ચે કામ હાથ ધરાયુ હતુ.
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

ગુજરાતી જોક્સ - જમાઈનું આટલું માન

Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ

Show comments