ઉલ્લેખનીય બાબત એ છે કે શાળાની બહાર જે બોર્ડ છે તેમાં જે તારીખ નો ઉલ્લેખ છે તે તારીખે મહાત્મા ગાંધી શાળા તરીકે નામકરણ પણ નહોતું થયું. અરે, ત્યારે તો ગાંધીજી નો જન્મ પણ નહોતો થયો. આલ્ફ્રેડ હાઈસ્કુલ ની સ્થાપના જ ૧૮૭૫માં થઇ હતી અને તેને જુનાગઢના નવાબે ડ્યુક ઓફ એડીનબર્ગની ભારત મુલાકાત ની યાદ માં બંધાવી હતી. જેનો ઉલ્લેખ એક તકતીમાં છે જ. પરંતુ શાળા બહાર ના બોર્ડ પર જે તારીખ છે તેનો ઉલ્લેખ ક્યાંય નથી.
દેશ વિદેશ ના અનેક મેહમાનો કે જેમને ગાંધી વિષે જાણવામાં રસ હોય તેઓ આ શાળાની મુલાકાત લેતા હોય જ છે ત્યારે આવી ક્ષતિ કે શરતચૂક ના રહે તે જોવું જરૂરી છે.
આ અંગે શાળાના આચાર્ય મુકેશભાઈ ખોખાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૭-૧૦-૧૮૫૩ ના રોજ રાજકોટ ઈન્ગ્લીશ સ્કૂલ ની સ્થાપના થઇ હતી. જે ૧૮૬૬ થી ૧૮૬૮ સુધી હાઈસ્કુલ રહી. બાદમાં ૧૮૬૮ થી ૧૯૦૬ સુધી કાઠીયાવાડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી. વાસ્તવમાં જુનાગઢના નવાબે જુનું મકાન જ બંધાવી આપ્યું હતું તેનું જ રીનોવેશન ૧૮૭૫ માં કરવામાં આવ્યું.
આ સ્કૂલ ને મહાત્મા ગાંધી વિદ્યાલય નામ તો છેક ૨-૧૦-૧૯૭૧ ના રોજ આપવામાં આવ્યું હતું. આના પરથી એક બાબત એ ફલિત થાય કે જ્યાં બાળકો ના સંસ્કાર નું સિંચન થાય છે ત્યાં જ તકતીઓમાં આ રીતે અલગ અલગ તારીખો લખવામાં આવે તો આવી અધુરી વિગતો માટે કોને જવાબદાર ગણવા?
આ શાળા ને અત્યાર સુધી માં ૪ નામ મળ્યા, જેનો તકતી માં ઉલ્લેખ થાય તો આ મુદો ચર્ચાસ્પદ ના બને, પરંતુ રોડ પર લગાવવામાં આવેલા બોર્ડ પર જ તારીખ અને નામમાં જે રીતે ક્ષતિ રાખવામાં આવી છે કે જ લોકો વિદ્વાન છે તેમને આ સવાલ જાગ્યા વગર નહિ રહે.