રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અને અન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે પોરબંદર, વઢવાણ, બોટાદ પાલિકાઓથી લઈને મનપા, તાલુકા, જિલ્લા પંચાયતોના સીમાંકનોની જાહેરાત કરી છે. ઑકટોબરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે ૩૧મી જુલાઈ સુધીમાં મતદાર યાદી અપડેટ કરવા રાજ્ય ચૂંટણીપંચે તમામ કલેકટરો, મનપાના કમિશનરોને સૂચનાઓ આપી દીધી છે.
ચૂંટણીપંચે હાઈ કોર્ટના ન્યાયમૂર્તિઓ, જિલ્લા અદાલતના જજો સહિત લોકસભા, રાજ્યસભાના સાંસદો, વિધાનસભાના સભ્યો સહિત બંધારણમાં ચૂંટાયેલા સભ્યો, સેક્રેટરીઓ ભારત સરકારની સંસ્થાઓના ઉચ્ચ ઓફિસરો, ભારતરત્ન અને પદ્મ સન્માનથી નવાજિત મેઘાવી પ્રતિભાઓ, પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને સમાજઅગ્રણી જેવા વીવીઆઈપી મતદારોના નામ સરનામાં, વોટર આઈડી કાર્ડની સ્થિતિ અપડેટ રાખવા કલેકટરોને સૂચના આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતના ૯ હજારથી વધુ વીવીઆઈપી મતદારો પંચે અલગ તારવ્યા હતા. મુખ્ય ચૂંટણીપંચની મતદારયાદીને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીપંચે પારદર્શક મતદાન તૈયારીઓ આરંભી છે.