રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૦,૪૮૯ લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે ૩૧૪૯૫ અપમૃત્યુના કેસ નોંધાયા છે. જો કે, રાજ્ય સરકાર આપઘાતના સાચા આકડાં છૂપાવવા માટે ભૂલથી ઝેરી દવા પી જવાથી કે પ્રાઈમસની ઝાળ લાગવા જેવા ગળે ન ઉતરે તેવા કારણો દર્શાવી-અપમૃત્યુના કિસ્સામાં ખપાવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો છે. આક્ષેપને શ્રમ અને રોજગાર પ્રધાન વિજય રૂપાણીએ પડકારી પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જો કે, આકડાંઓના સત્યતા પૂરવાર કરવાનો પડકાર ઉપાડી રાજીનામું આપી દેવાની વળતી ચેલેંજ ફેંકી હતી. જો કે, ઉપાધ્યક્ષ આત્મારામ પરમારે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં(૨૦૦૮થી ૨૦૧૩) સુધીમાં કુલ ૩.૧૬ લાખ ગુનાઓ નોંધાયા છે. જેમાં ૩૦૪૮૯ આપઘાત અને ૨૫૨૯ આપઘાતના પ્રયાસોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ સમયગાળામાં સુરત ગ્રામ્ય અને અમદાવાદ શહેર અને રાજકોટ શહેરમાં નોંધાયેલાં ગુનાઓની વિગતોનો સમાવેશ થતો નથી. દરમયાન અસંગઠિત ક્ષેત્રના લોકોને રોજગારી આપવા માટે સરકારે નોંધણી ચાલુ કરી છે પરંતુ તેમને રોજગારી મળે તેવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. હોટલ, હીરા, બાંધકામ વગેરે જેવા ક્ષેત્રોના કારીગરો-મજૂરો માટે સ્પષ્ટ નીતિને અભાવે તેમને રોજગારી મળતી નથી. કોંગ્રેસના ધારાસભ્ય પૂછેલાં સવાલના લેખિત ઉત્તરમાં રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૫,૧૯૧ આપઘાત, ૨૦૧૦ આપઘાતના પ્રયાસ મળી કુલ ૨ લાખથી વધુ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પાંચ વર્ષમાં ચોરી, લૂંટ, ધાડ, બળાત્કાર અને અપગર સહિતના બનાવમાં ૮૭૧૬૮ લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે ૪૦૦૮ ઈસમોને પકડવાના બાકી છે. અમદાવાદના ધારાસભ્ય પૂછેલાં સવાલના લેખિત ઉત્તરમાં અમદાવાદ શહેરમાંથી છેલ્લા બે વર્ષમાં ૩૧૭૯ વ્યક્તિઓ, ૧૦૮૩ બાળકો અને જિલ્લામાંથી ૪૨૮ વ્યક્તિ અને ૬૭ બાળકો મળી શહેર-જિલ્લામાંથી કુલ ૧૧૫૦ બાળકો અને ૩૬૦૭ વ્યક્તિઓ ગૂમ થયા હોવાનું જણાવાયું છે.