ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના બે ડબામાં ભુંજાઇ જનારા 58 કારસેવકો, નરોડા પાટિયાના હત્યાકાંડમાં મોતને ભેટેલા 98 નિર્દોષો, અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં જીવતા સળગાવી દેવાયેલા 38 માસૂમો, સરદારપુરામાં અંતિમ શ્વાસ લેનારા 33 લોકો, દીપરા દરવાજા કાંડમાં બલી ચડેલા 11 વ્યક્તિઓના પરિવારજનોને જઇને પૂછીએ તો ખ્યાલ આવે કે ખરેખર દસ વર્ષ પૂરાં થયાં ખરાં...? જવાબ ક્યારેય નહીં મળે...જેમણે પોતીકાં ગુમાવ્યાં છે તેમની તો જિંદગી જ અટકી ગઇ છે. એમને તો એક વર્ષ શેનું અને દસકો શેનો?
બીજો સવાલ એ થાય છે કે, ગુજરાતને પડેલો એ ઘા આજે રૂઝાયો છે ખરો? વિકાસની વાતો થાય અને કોમી એકતાની વાતો કરાય એટલે સાહજિક રીતે જવાબ મળે કે હા, ગુજરાત રમખાણોની એ કડવી યાદોને વિસારે પાડીને બેઠું થઇ ગયું અને દોડતું થઇ ગયું છે. પણ સાચો અને કડવો જવાબ કદાચ એ છે કે, ના... અફસોસ છે કે હજુ ગુજરાતની બે હાથ સમી આ કોમ હજુ પરસ્પરના વેરને વિસરી શકી નથી. એ ખરાબ સમય ભૂલીને સૌ આગળ વધી રહ્યું છે પણ મનના એક ખૂણામાં હજુ પણ એ કડવી અને દર્દનાક યાદો સંઘરાયેલી છે, વેર હજુ વિસારે નથી પડ્યું... એક સીધો જ જવાબ છે, જો બધું જ સમસૂતરું હોત તો રાજ્યના મુખ્યમંત્રીને એ ખાસ કરીને એ કોમને મનાવવા આજે નવ-દસ વર્ષ પછી સદભાવનાની સોગઠી ખેલવી પડે ખરી...?
10 વર્ષ પહેલાંની 27 ફેબ્રુઆરી 2002ની એ બિહામણી સવાર હવે એક ધૂંધળી યાદ બનીને રહી છે, એક ઊંડો ઘા બનીને રહી ગઇ છે. લોકો સ્મૃતિપટ પરથી એ કડવી વાતોને ભૂંસીને જિંદગી રૂકતી નહીં...ની જેમ ભૂતકાળને ભૂલાવીને ભવિષ્ય તરફ જોઇને આગળ વધી રહ્યા છે. પણ એવી કેટલીક કડવી વાસ્તવિકતાઓ છે કે જે પચાવવી અઘરી છે.
રમખાણો કરતાં પણ ખતરનાક ખેલ રાજકારણનો... રાજ્યના મુખ્યમંત્રી મોદી સદભાવનાના નામે પ્રાયશ્ચિત કરવા અને મુસ્લિમ કોમને મનાવવા મથી રહ્યા છે. નામ અપાઇ રહ્યું છે સદભાવનાનું પણ હકીકતમાં તો આ બધો ખેલ ગુજરાતમાંથી કૂદકો મારીને સીધા દિલ્હી પહોંચવાનો છે. 2002નાં એ રમખાણોમાં મોદીની ભૂમિકા હતી કે કેમ?, તે અંગે અનેક સવાલ અને તપાસ થઇ રહ્યાં છે. સાચા-ખોટામાં પડ્યા વગર એક વાત સ્વીકારવી જ રહી કે અહીં પણ લાશોના નામે રાજરમત રમાય છે. કોંગ્રેસ પણ લઘુમતીઓની હિતેચ્છુ હોવાનાં ગાણાં ગાઇ મોદીને કસૂરવાર સાબિત કરી જેલમાં ધકેલવા ધમપછાડા કરી રહી છે. નામ અપાઇ રહ્યું છે લઘુમતીઓ પ્રત્યેની હમદર્દીનું. પણ અહીં પણ સાચા-ખોટામાં પડ્યા વિના એક વાત સ્વીકારવી જ રહી કે કોંગ્રેસને લઘુમતીના ભલામાં નહીં પણ મોદીને ઉથલાવીને સત્તાનો સ્વાદ ચાખવો છે. રમખાણો તો પૂરાં થઇ ગયાં, દસકો વીતી ગયો પણ એ જ રમખાણોના નામે હજુ પણ લુચ્ચા રાજકારણના ખેલ ખેલાઇ રહ્યા છે તે શરમજનક બાબત નથી લાગતી..?
ન્યાયના નામે ડિંગો, વળતરના નામે વાયદા... કોમી રમખાણોમાં સ્વજનોને ગુમાવનારા લોકોએ ન્યાય માટે, અપરાધીઓને સજા કરાવવા માટે કાયદાનો સહારો લીધો. દસ વર્ષ વીત્યાં પણ મોટાભાગના કેસ હજુ કોર્ટમાં કાયદાની આંટીઘૂટીમાં અને છટકબારીઓમા અથડાતા રહ્યા છે. અમુક કેસના ચુકાદા આવ્યા તો એ ચુકાદાઓને ઉપરી અદાલતમાં પડકારાયા, તો વળી અમુક કેસની ફાઇલો તો ન્યાયની રાહ જોવામાં ચૂંથાઇ ગઇ છે. અસરગ્રસ્તોને વળતર ચૂકવાયાં પણ વળતર માત્ર નામનાં જ હોવાના બળાપા થઇ રહ્યા છે. આટલા મોટા હત્યાકાંડમાં આજે દસ વર્ષ પછી પણ ન્યાય અને વળતર માટે ફાંફાં મારવાં પડે ત્યારે એ ખરેખર દસકો વીતી ગયો ગણાય..? એક આંકડો જ કાફી છે આ રમખાણોની સ્થિતિ બયાન કરવા માટે, ગોધરાકાંડનાં 1958 કેસ પૈકી આજે દસ વર્ષ પછી માત્ર 117 કેસની તપાસ જ પૂરી થઇ શકી છે...!
અહીં ફરી અમન તો તહીં હજુ પણ ચાડી ખાય છે કાળી દીવાલો... રમખાણોમાં પોતાની ઓળખ સુદ્ધાં ખોઇ બેસેલા એ વિસ્તારોમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે છે કે એક દસકા પછી પણ અહીં માત્ર ને માત્ર ચિત્કાર જ છે. નરોડા પાટિયા વિસ્તારમાં આજે પણ લોકોના હૈયે ફડક છે. એકસાથે 98 જિંદગીઓને મોતના મુખમાં ધકેલાતી જોનાર આ વિસ્તાર આજે પણ ડૂસકાં લેતો હોય તેવો જણાઇ રહ્યો છે. તો વળી ગુલબર્ગ સોસાયટીમાં તમામ મકાન આજે ય ખંડેર બનીને ઉભાં છે અને બયાન કરી રહ્યાં છે અહીં ખેલાયેલા ખૂની ખેલની દર્દનાક દાસ્તાન... 33 વ્યક્તિઓના મોતનો ખેલ જોનારા વિજાપુરના સરદારપુરાના અસરગ્રસ્તોને સતનગર વિકસાવીને આશ્રય તો અપાયો પણ આ લોકો આજે પણ પોલીસના પહેરા તળે જીવી રહ્યા છે, એમને આજે પણ ઇંતજાર છે પોતાના ગામ સરદારપુરા પરત જવાનો. વિસનગરના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસે 11 જિંદગીઓને જીવતી ભૂંજાતી જોયા બાદ આજે પણ એ ખંડેર સમાં મકાન અહીં ચિત્કાર કરી રહ્યાં છે. વડોદરાની બેસ્ટ બેકરી અને પાંડરવાડા ગામમાં આજે પરિસ્થિતિ થાળે પડી છે. અહીંના લોકોએ એ યાદોને ભુલાવીને હિંદુ-મુસ્લિમ એકતાનો પરિચય આપીને જાણે રમખાણોના ગાલ પર તમાચો મારી દીધો છે.