૧૯૬૦ પછીનું ગુજરાત ૧૭ થી ૩૩ જિલ્લા...... ૧૯૬૦માં ૧૭ જિલ્લાઓની સાથે ગુજરાત સ્થાપિત થયું હતું. નવા જિલ્લાની રચનાની સૌ પ્રથમ શરૂઆત ગાંધીનગર સાથે થઇ હતી. ૧૯૬૪માં મહેસાણા અને અમદાવાદના કેટલાક ભાગોને જોડીને ગાંધીનગર રાજયનો ૧૮મો જિલ્લો બન્યો હતો. ત્યારબાદ ૧૯૬૬જ્રાક્રત્ન સુરતમાંથી વલસાડને જુદો પાડી ૧૯મો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ૧૯૯૭માં રાજયમાં છ નવા જિલ્લા આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદાનો સમાવેશ કરતાં જિલ્લાની સંખ્યા ૨૫ થઇ હતી. ૨૦૧૦માં ગુજરાતનો તાપી ૨૬જ્રાટ જિલ્લો બન્યો હતો. હવે બીજા સાત નવા જિલ્લા ગીર-સોમનાથ, છોટા ઉદેપુર, અરવલ્લી, બોટાદ, મોરબી, દ્વારકા અને મહીસાગર ૨૦૧૩માં અસ્તિત્વમાં આવી રહ્યા છે. તે સાથે નવા ૨૨ તાલુકાઓનો પણ ઉદય થયો છે. હવે ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લાઓ બન્યા છે.
ગુજરાત વિધાનસભાના ઈતિહાસ પર એક નજર... આઝાદી પહેલા ગુજરાતમાં એક નહીં પણ ચાર ચાર વિધાનસભાઓ કાર્યરત હતી જેમાં ભાવનગર વિધાનસભા, પોરબંદર સ્ટેટ વિધાનસભા, વડોદરા વિધાનસભા અને સૌરાષ્ટ્ર વિધાનસભાનો સમાવેશ થતો હતો.
પહેલી મે, ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત બાદ વર્તમાન વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિધાનસભાના ઈતિહાસ પર એક નજર નાખીએ તો, સૌ પ્રથમ ૧૯૪૧માં ભાવનગરના તે સમયના મહારાજ ભાવસિંહજી દ્વારા પ્રજાના પ્રતિનિધિની સભાના નામે વિધાનસભાની રચના કરવામાં આવી હતી. જેમાં ૩૮ જેટલા નિયુક્ત સભ્યો હતા અને તેમને પ્રજાના પ્રશ્નો પૂછવાની સત્તા આપવામાં આવી હતી.
ત્યારબાદ તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભાવનગર વિધાનસભાની રચના કરવામાં આવી હતી. તેજ ગાળામાં પોરબંદર ખાતે પોરબંદર સ્ટેટ એસેમ્બલી કાર્યરત હતી તો ૧૯૦૮માં બરોડા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા વિધાનસભાની સ્થાપના કરી હતી. ૧૯૫૨માં સૌરાષ્ટ્ર વિધાનસભાની રચના થઈ હતી. ૩૧ ઓક્ટોબર, ૧૯૫૬માં તેને મુંબઇ વિધાનસભાની સાથે ભેળવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ ૧૯૬૦માંઅલગ ગુજરાત બાદ વર્તમાન ગુજરાત વિધાનસભાની રચના થઇ હતી.
ક્યારે કેટલા ધારાસભ્યો હતા.... ૧૯૬૦માં ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા ૧૩૨ હતી. ત્યારબાદ ૧૯૬૨માં ૧૫૪ સભ્યોની સંખ્યા નિયુક્ત થઇ અને ૧૯૬૭માં ૧૬૮ ધારાસભ્યો અને તે પછી ૧૯૭૫માં ૧૮૨ ધારાસભ્યોની સંખ્યા નક્કી થઇ હતી જે આજદિન સુધી યથાવત છે અને કેન્દ્ર સરકારના એક નિર્ણય અનુસાર ૨૦૨૫ સુધી માત્ર ગુજરાતની જ નહીં પરંતુ દેશની કોઇપણ વિધાનસભાના સભ્યોની સંખ્યામાં વધારો થઇ શકે તેમ નથી.
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ...... અલગ ગુજરાત બાદ અસ્તિત્વમાં આવેલી વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે કલ્યાણજી મહેતા નિયુક્ત થયા હતા. ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભા અમદાવાદમાં કાર્યરત હતી અને તેની પ્રથમ બેઠક અમદાવાદની સિવિલ હોસ્પિટલના વર્તમાન ઓપીડી બિલ્ડિંગમાં મળી હતી. ત્યાર બાદ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૭૧માં ગાંધીનગરની સેકટર ૧૭ની સેન્ટ્રલ લાયબ્રેરી કે જે જૂની વિધાનસભા તરીકે ઓળખાય છે ત્યાં કાર્યવાહી ચાલતી હતી. ગાંધીનગરની સ્થાપના થયા બાદ ૨૦ માર્ચ, ૧૯૭૮માં વર્તમાન વિધાનસભા ઇમારતનું ભૂમિપૂજન થયું હતું અને જુલાઈ ૧૯૮૨માં તત્કાલિન રાજયપાલ શારદા મુખરજી દ્વારા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આજે આ બિલ્ડીંગમાં વિધાનસભા કાર્યરત છે.