સૌ જાણે છે કે ગાંધીનગરમાં આવેલ રૂપાલમાં થતી પલ્લી દુનિયામાં પ્રસિદ્ધ છે આ પલ્લીમાં લોકો 5000 વર્ષ
જૂની પરંપરા મુજબ ઘી હોમે છે. અહી આ માન્યતા એટલી પ્રચલિત છે કે આ દિવસે રૂપાલમાં રીતસરની શુદ્ધ ઘી ની નદીઓ વહેવા માંડે છે. આટલુ મોંઘુ ઘી બરબાદ પણ થાય છે. તેથી હવે મંદિર ટ્રસ્ટ દ્વારા આ પલ્લીમાં ઘી નો ચઢાવો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઘીનો બગાડ ના થાય તે માટે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘી ચઢાવવાના બદલે તેટલી રકમ દાન પેટે કાઉન્ટર પર જમા કરાવવા કહેવાયું છે. આ રીતે મળેલી રકમ મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે. પ્રસાદી રૂપે ઘી ચઢાવવું એ ઘીનો અભિષેક કરવા બરાબર ગણાશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ મળેલ દાનની રકમમાંથી માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરાશે અને બાકીની રકમ દાન તરીકે સ્વીકારી મંદિરને ભવ્ય બનાવાશે.
લોકો બાધા પૂરી કરવા અહી હજારોની સંખ્યામાં ઉમટી પડે છે. પણ હવે અહી વિવાદાસ્પદ હોવા છતા વહેતી શુદ્ધ ઘી ની નદીઓ એક ભૂતકાળ બનીને રહી જશે... અને ભાવિકો જય જય વરદાયિનીનીના ગૂંજથી રૂપાલ ગજવશે.