દેશના પ્રાઇમ મિનિસ્ટર માટે આહ્લાદક સગવડો સાથેનું એક અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનું પ્લેન છે જેને ‘એર ઇન્ડિયા વન'ના નામે ઓળખવામાં આવે છે. આ એર ઇન્ડિયા વનમાંથી નરેન્દ્ર મોદીએ આલ્કોહોલ રાખવાનું જે ફ્રિજ હતું અને જે એરિયામાં બાર બનાવવામાં આવ્યો હતો એ હટાવી દીધાં છે. શરાબ રાખવા સિવાયનો બીજો ખાદ્ય સામાન રાખવાનું જે ફ્રિજ હતું એ આજે પણ અકબંધ છે, પણ આલ્કોહોલના ચુસ્ત વિરોધી એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દારૂ પીવાની કોઈ સગવડનું જ અસ્તિત્વ આ પ્લેનમાં રહેવા નથી દીધું. નેપાલથી પાછા આવ્યા પછી પ્લેનમાં આ બધા સુધારાઓ કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે દરેક દેશના પ્રાઇમ મિનિસ્ટરના પ્લેનમાં આ પ્રકારની સુવિધા હોય છે એવી જ રીતે ભારતના વડા પ્રધાનના પ્લેનમાં પણ આ સુવિધા હતી. પ્રાઇમ મિનિસ્ટર પોતે આલ્કોહોલ પીતા ન હોય એવું બની શકે, પણ સાથે રહેલા ડેલિગેટ્સ કે પછી અન્ય મહેમાનો માટે આ સુવિધા જાળવી રાખવામાં આવતી હોય છે, પણ ચુસ્ત સંઘવાદી અને એક પણ પ્રકારનું વ્યસન નહીં ધરાવતા નરેન્દ્ર મોદીએ બહુ જ સ્પષ્ટતા સાથે એ ઓર્ડર જાહેર કરી દીધો હતો કે પોતે સાથે હોય એ દરમ્યાન કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું સેવન નહીં થાય અને એ ઓર્ડરના આધારે જ આ આલ્કોહોલ અને એને સ્ટોરેજ કરવા માટે જે સગવડ હતી એ હટાવી લેવામાં આવી છે.
એર ઇન્ડિયા વનમાં સામાન્ય રીતે આલ્કોહોલની વીસથી વધુ જાત રાખવામાં આવતી હતી અને નોર્મલી પ્લેનમાં ૧૦૦થી વધુ શરાબની બોટલ પડી રહેતી, પણ હવે નરેન્દ્ર મોદી જયાં સુધી વડા પ્રધાન છે ત્યાં સુધી એ બોટલો પ્લેનમાં જોવા નહીં મળે.