વારાણસીની રેલીમાં વિશાળ રેલીને સંબોધવાની શરૂઆત ગંગા શુદ્ધિકરણ મુદ્દે કરીને કોંગ્રેસને આડેહાથે લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાયવાલાનું સ્ટેટ્સ પામેલા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ફરી ચાયવાલા બાબતે ટકોર કરતા વિરોધીઓને કહ્યું હતું કે હું ચા વેચવા તૈયાર છું પણ દેશ નહીં.ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિને સમજીને મોદીએ ખેડૂત કાર્ડ સરળતાથી રમી લીધું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ આખા યુરોપનું પેટ ભરી શકે છે પરંતુ હવે ખેડૂતોને અહીં તેમનું પેટ ભરવું જ મુશ્કેલ બન્યું છે. યુવાનોનો ભરોસો જીતવા માટે તેમણે પોતે ખોખલા વચનો ન આપતા હોવાનો અને હું માત્ર કહેતો નથી પણ કામ કરીને બતાવુ છું કહીને ઉપસ્થિત યુવાનો તરફથી તાળીઓનો ગડગડાટ લેવામાં સફળ નીવડ્યાં હતાં.કોંગ્રેસે અનેક દાયકાઓ શુદ્ધિ શાસન કર્યુ હોવા છતાં ગંગા શુદ્ધિકરણ બાબતે કોઈ કામ થયું ન હોવાના આરોપસર તેમણે ગંગાને સંસ્કૃતિની ધારા ગણાવી ગંગાની શુદ્ધિકરણ માટે દિલ્હી શુદ્ધ કરવાની હાંકલ કરી હતી.
ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક પછી એક રેલીઓ સતત કરી રહ્યાં છે. દરેક રેલીમાં નવો વિવાદ છેડીને કોંગ્રેસની ઉંઘ હરામ થઈ છે કે નહીં તે કોંગ્રેસ જ જણાવી શકે છે પરંતુ વારાણસીથી મોદીએ કોંગ્રેસને ટાંકી કહ્યું હતું કે અમે તેમની ઉંઘ હરામ કરી નાંખી છે. જોકે કોંગ્રેસ શરૂઆતથી જ મોદી બાબતે ગંભીર ન હોવાનું જણાવતી આવી છે.