નાણા મંત્રી સૌરભ પટેલ દ્વારા આજે આનંદીબેન પટેલ સરકારનું સૌપ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારના બજેટમાં 80 કરોડ રૂપિયાનો નવો કરબોજ નાખવામાં આવ્યો છે, આ બજેટ 184.95 કરોડની પૂરાંતવાળું છે. બજેટ અનુસાર, એટીએફ, ગર્ભનિરોધક ગોળી, ઈસબગુલ, ઈમિટેશન જ્વેલરી સસ્તાં થશે. આ બજેટમાં ખેતી, મહિલા-બાળ વિકાસ, સામાજીક સુરક્ષા તેમજ શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક યોજનાનું કદ 79,295.11 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ 915 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. બજેટમાં નર્મદા યોજના માટે 926 કરોડ ફાળવાયા છે, જ્યારે શિક્ષણ માટે 22787.82 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરદાર સરોવર યોજના માટે પણ સરકારે નવ હજાર કરોડ ફાળવ્યા છે.