લખપત જઈએ એટલે નારાયણ સરોવર, કોટેશ્ર્વર મહાદેવનું મંદિર અને માતાનો મઢ બધે જ એકસાથે દર્શન થઈ જાય. આજે પણ કોટેશ્ર્વર મંદિરની પાળીએ વિતાવેલી સાંજ યાદ આવે ને આંખો હરખાઈ જાય છે. કેટલાક સૌથી સુંદર નિહાળેલા સૂર્યાસ્ત પૈકીનો એક સૂર્યાસ્ત હતો એ. આંખો સામે વિશાળ સાગર, રંગોની રમત રમી રહેલું આકાશ, આજે વિરામ લઈને આથમી રહેલો સૂર્ય અને આ બધા પર ચડી જાય એવો સુસવાટા મારતો પવન... ભૂજથી ૨૧૫ કિ.મી. દૂર આવેલા કોટેશ્ર્વર મંદિર વિશે અનેક લોકવાયકાઓ પણ જાણીતી છે. કહેવાય છે કે રાવણે ઉગ્ર તપસ્યા કરીને પ્રભુ શિવને પ્રસન્ન કર્યા. રાવણની તપસ્યાથી પ્રભાવિત થયેલા શંકર ભગવાને શક્તિઓના પ્રતીક સમું શિવલિંગ આપ્યું. ભગવાનના હાથે શિવલિંગ મળતાં સર્વશક્તિશાળી થવાના ગુમાનમાં રાવણ એટલો બેદરકાર બન્યો કે તેના હાથમાંથી આ શિવલિંગ નીચે પડી ગયું. નીચે પડેલું શિવલિંગ ધરતી પર પહોંચ્યું અને રોષે ભરાયેલા શંકર ભગવાને તેને પાઠ ભણાવવા માટે પનિશમેન્ટ તરીકે મૂળ શિવલિંગ જેવાં જ હજારો શિવલિંગની ત્યાં રચના કરી દીધી. રાવણ ધરતી પર મૂળ શિવલિંગ શોધવા તો આવ્યો, પરંતુ હજારો શિવલિંગ જોઈને મૂંઝાયો ને પાછો ફર્યો. બસ, ત્યાં જ મંદિર બનાવી દેવાયું ને ભક્તો માટે એ શ્રદ્ધાધામ બની ગયું. બીજી કથા એવી પણ છે કે ભગવાન શંકરે રાવણની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને તેને શક્તિશાળી શિવલિંગનું વરદાન આપ્યું ત્યારે સ્વર્ગનાં અન્ય દેવી-દેવતા મૂંઝાઈ ગયાં. તેમણે યુક્તિ કરીને રાવણને ધરતી પર ભૂલો પાડ્યો ને મૂળ શિવલિંગ જેવાં જ આબેહૂબ હજારો (શિવલિંગની સંખ્યા બાબતે ક્યાંય એકમત નથી જોવા મળતો. ક્યાંક હજારો તો ક્યાંક લાખો અને ક્યાંક કરોડો શિવલિંગની વાત કરવામાં આવે છે.) શિવલિંગનું સર્જન કરી દીધું. પરિણામે રાવણ મૂળ શિવલિંગ અહીં જ ભૂલી ગયો અને બીજું શિવલિંગ લઈને પોતાના સ્થાને ગયો. કાળાનુક્રમે એ શિવલિંગ ફરતે મંદિર બનાવાયું. કચ્છના રાજા-મહારાજાઓએ આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો છે. દરિયાકિનારે ઊભા કરાયેલા આ મંદિરમાં આજે પણ તેની ભવ્યતાની કેટલીક રહી ગયેલી નિશાનીઓ જોવા મળે છે.
કોટેશ્ર્વરથી લગભગ ૪ કિ.મી.નું અંતર કાપીએ એટલે આવે નારાયણ સરોવર. હિંદુ શાસ્ત્રોમાં જે પાંચ પવિત્ર તળાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાંથી એક છે આ નારાયણ સરોવર. મંદિર જેવા વિસ્તારમાંથી આગળ વધીએ એટલે એક દરવાજો નજરે ચડે અને એ દરવાજામાં ડોકિયું કાઢીએ એટલે દેખાય અનેક પગથિયાં ધરાવતું નારાયણ સરોવર. એવું કહેવાય છે કે ભારતની પવિત્ર એવી સરસ્વતી નદી કચ્છમાંથી વહેતી હતી અને અત્યારના નારાયણ સરોવર પાસે જ એ દરિયામાં સમાઈ જતી હતી. પરિણામે આ તળાવમાં સરસ્વતી નદીના પવિત્ર જળના અંશ મળી આવતા હતા. જેથી હિંદુઓમાં આ તળાવ પ્રત્યે ધાર્મિક આસ્થા ખૂબ જ છે. શાસ્ત્રોમાં જે ‘પંચ સરોવર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં માન સરોવર, નારાયણ સરોવર, પંંપા સરોવર અને પુષ્કર સરોવરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે મહાપ્રભુ વલ્લભાચાર્યે પણ નારાયણ સરોવરની મુલાકાત લીધી હતી.
માત્ર ધાર્મિક આસ્થાળુઓ જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આ સ્થળ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. અહીં પશુ-પંખીઓની અનેક પ્રજાતિઓ નજરે ચડે છે. નારાયણ સરોવરની આસપાસ ચિંકારા જોવા મળતા હોવાને કારણે વર્ષ ૧૯૮૧માં આ વિસ્તારને નારાયણ સરોવર અભયારણ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી.
કચ્છમાં માતાના મઢનો મહિમા તો જાણીતો છે જ, ક્યારેક એની વિસ્તારથી વાત કરીશું. અત્યારે ક્વિક રાઉન્ડમાં કહેવું હોય તો પૂર્ણેશ્ર્વર અને કક્કડ ભીંતની પશ્ર્ચિમે માતાનો મઢ છે. આ મંદિર કચ્છના અગાઉના જાડેજા શાસકોનાં કુળદેવીને સમર્પિત કરાયું છે. કહેવાય છે કે વર્ષ ૧૮૧૯ના ધરતીકંપમાં સમૂળગું ધરાશાયી થયેલું મંદિર એ સમયે ૧૨૦૦ વર્ષ જૂનું હતું. આ જગ્યાએ સુંદરજી સોદાગર દ્વારા ફરી સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને અત્યારે માત્ર કચ્છ નહીં, દેશ-વિદેશના લાખો ભક્તોની આસ્થાનું તે ધામ છે.
ટૂંકમાં, લખપત તાલુકો એટલે જાણે મંદિરોનો તાલુકો. જોકે અહીં જેટલો મંદિરોનો મહિમા છે એટલો જ ઐતિહાસિક ઈમારતોનો પણ. તમે લખપત તાલુકાની મુલાકાત લો અને ઈતિહાસ સાથે રૂ-બ-રૂ કરો.