ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં રાજ્યમાં 'આપ'ના વધી રહેલાં 'વ્યાપ'ને અટકાવવા માટેની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના અગ્રણીઓ-પદાધિકારીઓ જાહેરમાં 'આપ'ને ગણકારતા નથી તેવો દેખાડો કરે છે પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરીણામોનું પુનરાવર્તન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ન થાય તેની પૂરી તકેદારી રાખી રહ્યા છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી છૂટા પડીને ત્રીજો રાજકીય પક્ષ ઉભો કરવાના પ્રયાસ થયા છે પરંતુ આ ત્રીજા પક્ષની સરકાર લાંબો સમય સત્તા પર રહી શકી નથી અને કેટલાક પક્ષનું બાળમરણ થયું છે.
આ સંજોગોમાં ગુજરાતની જનતા ત્રીજા પક્ષને બહુ મહત્ત્વ આપતી નથી તેવું એકથી વધુ વાર પૂરવાર થયું હોવા છતાં ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં કોઈ જોખમ ખેડવા તૈયાર નથી. સૂત્રોએ જણાવ્યું કે, આપના ઉદય સમયે ભાજપે ગુજરાતમાં આપને રોકવા માટે સંગઠનને સક્રિય જવાબદારી સોંપી હતી પરંતુ ગુજરાતમાં ધીમે ધીમે જે રીતે આપનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં ખુદ સરકાર પણ આપને અટકાવવા સક્રિય થઈ ગઈ છે, જે બતાવે છે કે, આપથી સરકાર કેટલી ડરેલી છે.