હિન્દુ સમાજમાં શુભ પ્રસંગોએ ‘ગણપતિ બાપ્પા મોરયા’ એ પ્રકારનો જયઘોષ થતો હોય છે. ગણેશ મહોત્સવ પ્રસંગે સવાર-સાંજ થતી આરતી તથા વિસર્જનની શોભાયાત્રાના સમયે ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદથી આકાશ ગાજી ઊઠે છે. તેથી ઘણાના
મનમાં પ્રશ્ર્ન થતો હોય છે કે આ મોરયા એટલે શું?
ગણપતિદાદાના નામની પાછળ મોરયા શબ્દ જોડાવા પાછળ એક કથા સંકળાયેલી છે. વર્ષો પૂર્વે મહારાષ્ટ્રમાં મયુર પંત એટલે કે મોરોપંત નામના એક પ્રખર ગણેશભક્ત સંત-કવિ થઈ ગયા. આ મોરોપંતના નામનું અપભ્રંશ થઈને મોરયા નામ પડ્યું. તેમની પ્રખર ગણેશભક્તિને કારણે લોકો તેમને સાક્ષાત્ ગણપતિનો અવતાર જ ગણવા લાગ્યા. એક લોકવાયકા પ્રમાણે મોરોપંતની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં ગણેશજીએ તેમને વરદાન આપ્યું કે ‘તારું નામ મારા નામની સાથે જોડાઈને અમર થઈ જશે’ ત્યારથી ‘ગણપતિ બાપ્પા મોરયા’એ જયઘોષ પારંપારિક રીતે કરવામાં આવે છે.
ગણેશના નામમાં જ સંદેશ છે
ગજાનન ગણેશની વ્યાખ્યા કરીએ તો સમજાશે કે ‘ગજ’ બે વ્યંજનોથી બનેલો છે, જેમાં ‘જ’ એટલે જન્મ અને ‘ગ’ એટલે ગતિ. ઉપરાંત ગજ શબ્દ ઉત્પત્તિ અને અંતનો સંકેત પણ આપે છે. જ્યાંથી આવ્યા છો ત્યાં જ જવાનું છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. યુવાનોને એક લીટીમાં કહું તો શું લઈને આવ્યા છીએ ને શું લઈને જવાના? લોભથી દૂર રહેવું, પ્રામાણિક રહેવું. ગણેશજી પ્રારંભથી જ આ શીખવે છે.