દિવાળી અને પરંપરા એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે અને તેની પૂજા કરે છે.
દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે.
દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.
લક્ષ્મીપૂજન વિધિ ઓમ ગં ગણપતયે નમ:
ઓમ હ્રીમ મહાલક્ષ્મેય નમ:
ઓમ સરસ્વતીય નમ:
દિવાળીના દિવસે શુભ મુહુર્ત જોઈને ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ગણેશની સ્થાપના વગર કોઈ પૂજા પૂર્ણ નથી થતી, તેથી સૌ પ્રથમ ગણેશની મુર્તિ અથવા ચિત્રનું સ્થાપન કરીને તેમનું આવાહન કરવામાં આવે છે. ધન અને વૈભવ માટે લક્ષ્મીજીનાં આશિષ આવશ્યક છે, તેથી માં લક્ષ્મીની સ્થાપના કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિ જ્ઞાન વગર ટકતી નથી, તેથી મા સરસ્વતીની સ્થાપના કરીને ત્રણેય દેવી-દેવતાનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. આ સાથે ઘરની તિજોરીમાં પડેલાં સોના, ચાંદીના સિક્કા, મુર્તિ, દાગીના, નોટો વગેરેની પૂજા કરવાનું પણ વિધાન છે. વેપારીઓએ દુકાન પર આ રીતે ગણેશ, લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પછી ઘરે આ જ રીતે લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.
દિવાળીના દિવસે દીપકની પૂજાનું પણ માહાત્મ્ય છે. આ માટે બે થાળીમાં દીવા રાખો. તેર-તેર દીપક બંને થાળીમાં સજાવો. બધા જ દીવાને પ્રજ્જ્વલિત કરીને અબીલ, ગુલાલ, કંકુ, ધૂપથી પૂજા કરો. દીપકનું ષોડશોપચારે વિધિવત્ પૂજન કર્યા બાદ આ જ દીપકથી ઘરનો ખૂણેખૂણો સજાવો.
આ રીતે દિવાળીના પર્વને મા લક્ષ્મીની આશિષ સાથે શ્રદ્ધાપૂર્વક મનાવો તો ચોક્કસ અમાસની રાતને રોશન કરતો દીપોત્સવ આપના જીવનને પણ તેજોમય કરી દેશે.