ગત 25મી ઓગસ્ટે GMDC ગાઉન્ડ પર પાટીદારોની મહારેલીને એક વર્ષ પૂરું થવા જઇ રહ્યું છે, ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે આગામી 25મી ઓગસ્ટે દિલ્હીના રામલીલા મેદાન પર મહારેલી ગજવવાનું એલાન કર્યું છે. સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મોરબી અને અમરેલીમાં પણ 25મી ઓગસ્ટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
હાર્દિક પટેલે 25મી ઓગસ્ટના કાર્યક્રમ અંગે એક અખબારને જણાવ્યું કે, 25મીએ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી સૌરાષ્ટ્રના અમરેલી અને મોરબી ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પોતે ગુજરાતમાં પ્રવેશી નહીં શકતો હોવાથી તે 25મીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી રેલીમાં હાજરી આપશે. આ રેલીમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના પાટીદાર સમુદાયના તથા સવર્ણો જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 25મી ઓગસ્ટ બાદ પણ 31મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે રેલી અને સભાનું આયોજન કરવામાં આવશે. ઉદયપુર ખાતે હાર્દિક પટેલની આગેવાનીમાં પાસના જિલ્લા કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં 32 જિલ્લા કન્વીનરો, 3 મહિલા કન્વીનર અને 10 જિલ્લા પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા. બે કલાક ચાલેલી આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલનની આગામી રણનીતિ ધડવાની ચર્ચા થઇ હતી. જેમાં ગાંધીચિંધ્યા માર્ગે અને લોકશાહી ઢબે આંદોલન કરવાની પણ ચર્ચા આ બેઠકમાં થઇ હતી. બેઠકના અંતે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા.