વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયને હચમચાવી દેનારા સેક્સ સીડી કાંડમાં 11 વર્ષ પછી અંતે અજેન્દ્રપ્રસાદ પાંડે કોર્ટ સામે શરણાગતિ સ્વીકારવા તૈયાર થયા છે. અજેન્દ્રપ્રસાદે સોમવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે બુધવારે નડિયાદમાં ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં શરણાગતિ સ્વીકારશે.
નડિયાદની કોર્ટે અજેન્દ્રને 2014માં જામીન આપ્યા હતા. વિરોધી જૂથે જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને જામીન આપી શકાય કે નહીં તેનો નિર્ણય લેવા આદેશ આપતાં નીચલી કોર્ટે ફરી સુનાવણી કરીને જામીન અરજી ફગાવતાં પાંડે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી હતી.
સ્વામીનારાયણ સેક્સ સીડી કાંડ 2005માં થયો હતો. અજેન્દ્રપ્રસાદના વિરોધી નૌતમ સ્વામી જૂથના સાધુઓને વેશ્યાઓ સાથે સેક્સ માણતા દર્શાવતી આ સીડી ફરતી થતાં ખળભળાટ મચ્યો હતો. પાંડેએ જ આ વેશ્યાઓને પૈસા આપ્યા હતા અને તેમને હરીફ જૂથના સાધુઓ પાસે મોકલી હતી તેવા આક્ષેપ થયા હતા. સેક્સ સીડી કાંડ મુદ્દે 2005માં જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
સહજાનંદ સ્વામીની આઠમી પેઢીએ વંશજ અજેન્દ્રપ્રસાદે છેલ્લા 11 વર્ષથી સેક્સ સીડી કાંડમાં જુદી જુદી કોર્ટમાં આગોતરા જામીન અરજી અથવા તો પોતાની સામેના આરોપો રદ કરવાની અરજીઓ કરીને ધરપકડ ટાળી છે. તેમની ધરપકડ નહીં કરવા બદલ કોર્ટે પોલીસને વારંવાર ઝાટકી છે. તેમની સંપત્તિ પણ કોર્ટે ટાંચમાં લીધી છે.