મુખ્યમંત્રીની પુત્રી અનાર પટેલે ગીર અભ્યારણની ૪૫૦ એકર જમીન કૌભાંડને ખુલ્લો પાડતા ભાજપે મને નિશાન બનાવ્યો છે તેવો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના આર્શિવાદથી જ પોલીસ બિન્દાસપણે ધનાઢ્ય પરિવારોને નિશાન બનાવી ખોટા કેસ કરી તોડ કરે છે. અમદાવાદ પોલીસ ચોર કોટવાલને દંડે તેવી રીતે વર્તી રહી છે .
અનાર પટેલ કૌભાંડ પ્રકાશમાં લાવ્યાં બાદ ભાજપ મને નિશાન બનાવશે તેવુ મને ચોક્કસપણે હતુ પણ મારા પુત્રને નિશાન બનાવશે તેવી કલ્પનાય નહોતી. મહિલા પીએસઆઇએ ચાર લાખ લીધાની કબૂલાત કરી છે ત્યારે પોલીસ કેમ પીએસઆઇના ઘેર જઇને મુદ્દામાલ કબજે કરતી નથી ,આ અગાઉ તેણે કેટલા તોડ કર્યા તેની માહિતી કેમ મેળવતી નથી ,પોલીસ જે તોડ કરે છે તેમાંથી ગૃહમંત્રી- ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેટલા પૈસા પહોચાડવામાં આવતા હતા તેની માહિતી કેમ છુપાવાય છે તેવા સવાલો મોઢવાડિયાએ ઉઠાવ્યા હતાં. મોઢવાડિયાએ એવી માંગ કરી કે, આ કેસ લાંચ રૃશ્વત વિભાગને ટ્રાન્સફર કરીને સ્વતંત્ર તપાસ થવી જોઇએ. જો પોલીસ માંગ નહી સ્વિકારે તો કાનૂની પગલા લઇશું. પોલીસ ભલે ભાજપ સરકારના ઇશારે વર્તી રહી હોય. પાસપોર્ટ જપ્ત કરવાની સત્તા પોલીસને છે જ નહીં પોલીસે આવા નિવેદન કરતાં અગાઉ વિચારવું જોઇએ.