વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માસ્ટર ડિગ્રીને લઈને ફરીથી એક નવો વિવાદ સામે અાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના રીટાયર્ડ પ્રોફેસર જ્યંતિભાઈ પટેલે વડાપ્રધાન મોદીની એમએની ડિગ્રીને લઈ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રીમાં મોટાપાયે ગરબડ કરવામાં આવેલી છે,એટલુ જ નહીં માર્કશીટમાં જે વિષયનો ઉલ્લેખ કરાયો છે તે વિષયો તે સમયે ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા જ નહોતા.
જ્યંતિભાઈ પટેલે દાવો કર્યો છે કે, મોદીની એમએની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે માર્કશીટ રજુ કરવામાં આવી રહી છે તેમાં અને રેગ્યુલર માર્કશીટમાં ઘણુ અંતર છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત યુનિવર્સિટીએ નરેન્દ્ર મોદીના એમએ પાર્ટ-૨માં જે પેપર બતાવ્યા છે તેના નામોમાં પણ મોટાપાયે ગરબડ છે. તેમણે જણાવ્યુ છે કે, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગુજરાતમાં એક્સટર્નલ અને રેગ્યુલર વિદ્યાર્થીઓના પેપર એક જેવા હોતા નથી. જયંતિભાઇ પટેલ ગુજરાત યૂનિવર્સિટીના પોલિટિક્સ સાયન્સ વિભાગમાં વર્ષ 1969 થી 1983 સુધી પ્રોફેસર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્ટરનલ વિદ્યાર્થી તરીકે એમએ માટે પોલિટિકલ સાયન્સમાં એડમિશન લીધું હતું. જો કે જયંતિ પટેલ જણાવે છે કે નરેન્દ્ર
મોદી કોલેજમાં સૌથી વધુ ગેરહાજર રહેતા હતા.
.રીટાયર્ડ પ્રોફેસર જ્યંતિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કોલેજમાં અલગ-અલગ વિષયો પર અનેક પ્રવૃત્તિ થતી હતી, પરંતુ તે પૈકી એકપણ પ્રવૃત્તિમાં નરેન્દ્ર મોદીએ ક્યારેય ભાગ લીધો હોય તે મને યાદ નથી. બીજીબાજુ ગુજરાત યુનિવર્સિટીએ મોદીની માર્કશીટને અસલી ગણાવી હતી. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે જણાવ્યુ હતું કે, જે માર્કશીટ બનેલી છે તે ૩૦ વર્ષ પહેલાની છે અને જે સ્વરુપે યુનિવર્સિટીમાં હતી તે જ સ્વરુપે તેને જાહેર કરાયેલી છે.