ગુજરાતમાં જેમ સિંહની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તેમ હવે દિપડાની પણ ગણતરી કરવામાં આવશે, અગાઉની ગણતરીની વાત કરીએ તો વર્ષ 2011નાં આંકડા પ્રમાણે કુલ 1160 દિપડા હોવાનું જાણવા મળ્યું હતું, દિપડા સહિત અન્ય 8 વન્ય પ્રાણીઓની વસતિ ગણતરી 20મે ના રોજ હાથ ધરાશે. જે સતત ત્રણ દિવસ સુધી ચાલશે, રાજયવ્યાપી હાથ ધરાનારી આ ગણતરીમાં વનવિભાગના સર્કલના અધિકારી કર્મચારી સહિત એનજીઓ સંસ્થા અને વન્યપ્રેમીઓ જોડાશે.
ઉનાળામાં વસતિ ગણતરી કરવા પાછળનું કારણ એ છે કે ગરમીમાં વન્ય પ્રાણી પાણીની શોધમાં પાણીના પોઇન્ટ સુધી આવતા હોય છે. અને તેથી ગણતરી કરવી સહેલી પડતી હોય છે. તો આ સાથે જ આ ગણતરીમાં ગામલોકોનો સહયોગ પણ લેવાશે. દિપડાની ફૂટ પ્રિન્ટ અને તેની મારણની જગ્યાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ પહેલા વર્ષ 2011માં ગણતરી કરવામાં આવી હતી. જેમાં દિપડાની સંખ્યા 1160 નોંધવામાં આવી હતી. અને હવે આ સંખ્યામાં વધારો થયો હોવાનું વન વિભાગના અધિકારીઓનું માનવું છે.
દિપડાની સાથે ગુજરાતના જંગલોમાં જોવા મળતા કુલ 8 પ્રાણીઓની વસતિ ગણતરીની કામગીરી 20 મે થી શરૂ થશે. જેમાં દિપડાની વાત કરીએ તો ખાસ કરીને ગિરનાર, ગીર જંગલમાં વધુ જોવા મળે છે. તો રીંછ બનાસકાંઠાની જેશોર સેન્ચ્યુરીમાં અને રતનમાલ સેન્ચયુરીમાં વધુ જોવા મેળ છે. તો ખુબ જ ઓછું જોવા મળતું ઘોરખોદીયું રાત્રીના સમયે જોવા મળે છે. તેની વસતિ પણ જુનાગઢના જંગલમાં વધુ છે. જો કે હવે કયાં પ્રાણીની સંખ્યામાં કેટલો વધારો થયો છે ? તે તો આ વર્ષની પ્રાણીઓની વસતિ ગણતરીના આંકડા આવ્યા બાદ જ ખ્યાલ પડશે.