પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી બેઠક આજે પુર્ણ થઈ છે, આ બેઠક બાદ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ એવા પુરુષોત્તમ રુપાલાએ પાટીદારોને પડકાર ફેંકતા જણાવ્યુ હતું કે, ભાજપે વટ સાથે મહેસાણામાં બે દિવસની સફળ બેઠક યોજી બતાવી. રુપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ એ વિરોધ પ્રદર્શનના નામે માત્ર નવા નવા અખતરા કરી રહ્યુ છે.
જળયાત્રા, લોક દરબાર અને હવે મોંઘવારી પર વાર આ બધા નવા નવા તરકટો છે. વાસ્તવમાં તેમના દાવાઓમાં કોઈ દમ નથી. દરમિયાન આજે યોજાયેલી કારોબારી બેઠક દરમિયાન મહત્વના ઠરાવો પાસ કરવામાં આવ્યા છે. આજે બેઠક બાદ કરવામાં આવેલ જાહેરાત મુજબ હવે ૬ જુલાઈ સુધી રાજ્યના દરેક જિલ્લા અને તાલુકોમાં બુથ સ્તરે કાર્યક્રમ યોજાશે. જેમાં શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકથા કાર્યક્રમ પણ યોજાશે.
તેમજ ૩૦ જુન સુધીમાં જીલ્લા કારોબારીની બેઠક યોજવામાં આવશે. ત્યારબાદ ૭ જુલાઈ સુધીમાં મંડળ કારોબારીની બેઠક પુર્ણ કરવામાં આવશે. આ બેઠક પુર્ણ થયા બાદ ૪૮ કલાકના જિલ્લા વાઈસ કાર્યક્રમ યોજાશે. તેમજ દર મહિને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે. જ્યારે ૪ અને ૫ જુલાઈએ સંસદ સભ્યોની બેઠક મળશે. જ્યારે ૨૬ જુન ભાજપના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે. આ ઉપરાંત ૧૯ જુલાઈએ ગુરુપુર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે