ત્રાસવાદ અને ગૌહત્યા જેવી બદીને દેશભક્તિના સંદેશા સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે છેલ્લા 16 વર્ષથી સાઈકલ લઈને ભારત યાત્રાએ નિકળેલા દેશપ્રેમી આખરે લૂંટાયા. એક તરફ દેશની સરહદો સળગી રહી છે અને જવાનો શહીદ થઈ રહ્યાં છે. ત્યારે આ 70 વર્ષના વૃદ્ધ દેશમાં અંદરો અંદર લડી રહેલી જનતાને જગાડવા માટે સમગ્ર દેશમાં સાયકલ પર ફરીને જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં હતાં. દેશપ્રેમી મોહંમદ અહેમદ ખાન રવિવારે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. રવિવારે અમદાવાદ રોકાયેલા અહેમદ ખાન સોમવારના રોજ સવારે 10:30 વાગે સાઈકલ લઈને માધવપુરાના મોદી કૂવા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન બાઈક પર આવેલા વ્યક્તિએ વૃદ્ધને રોકી તેમના ખિસ્સામાં રહેલા રૂ.15 હજાર રોકડા લૂંટી ફરાર થઈ ગયો હતો. દેશપ્રેમી એવા મોહંમદ અહેમદ ખાનને અમદાવાદમાં લૂંટી લેવાતા માધવપુરા પોલીસે માત્ર અરજી નોંધી કોઈ કાર્યવાહી ન કરતા વૃદ્ધ બેસહાય બની ગયા છે. મોહંમદ અહેમદના જણાવ્યા અનુસાર, હું 19 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના માધવપુરા વિસ્તારમાં હતો, સવારે 10:30નો સમય હતો. દરમિયાન એક બાઈક પર આવેલા વ્યક્તિએ મને રોકી પૂછ્યું કે તમે મંદિર કે મસ્જિદમાં ચઢાવો ચઢાવી દેશો. આ પ્રકારની વાત કરવા દરમિયાન આ વ્યક્તિએ મારા ખિસ્સામાં રહેલા રોકડા રૂ.15 હજાર કાઢી લઈ ભાગી ગયો હતો. હું પ્રતિકાર તો ન કરી શક્યો પરંતુ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી મેં મારી ફરિયાદ જણાવી હતી. પોલીસ મારી સાથે ઘટના સ્થળ પર આવી તપાસ કરી હતી. આખરે મારી ફરિયાદ નોંધી પોલીસે અમે તપાસ કરીશું તેમ કહી દીધું હતું.