ઉના દલિતકાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ઉઠાવતા આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી દીધી હતી. સીઆઇડી ક્રાઇમે આજે આ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આમ ઉના દલિત યુવકોને જાહેરમાં ઢોર મારવા મુદ્દે કુલ ૨૨ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ગઇ કાલે પણ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જો કે, સીઆઇડી કે પોલીસ તરફથી માત્ર વીડિયોમાં માર મારવામાં આવતા યુવકોના જ ફોટો જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, ૪૦ લોકોના ટોળાએ સતત સાડા ત્રણ કલાક સુધી જાહેરમાં દલિતોને માર માર્યો હતો. જેને લઇને રાજ્યભરના દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યાં છે. પોલીસ પણ આ મામલે હજુ સુધી કંઇ બોલી રહી નથી. આ એક સંવેદનશીલ કેસ હોવાથી પોલીસે આરોપીઓના ફોટો પણ જાહેર કર્યા નથી કે મીડિયા સમક્ષ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા નથી