ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીના પડઘમ હવે શરુ થઈ ગયા છે. ભાજપે ચુંટણી અગાઉ કાર્યકર્તાઓમાં જોશ પુરવા નવસારી, વલસાડ અને ડાંગનું સંયુક્ત મહાસંમેલન વલસાડમાં કર્યુ હતું. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે તેમના દ્વારા વલસાડમાં સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા આપના યુવા સાંસદ ગુલાબસિંહ યાદવે જણાવ્યુ હતું કે, વલસાડમાં ચુંટણી લડવા માટે નહીં, પરંતુ જીતવા માટે લડવાની છે. આપની સંગઠન સભામાં તેમણે જણાવ્યુ હતું કે, આપના કાર્યકર્તાઓને શહેરના અનેક લોકો શોધી રહ્યા છે, પરંતુ કાર્યાલય ન હોવાના કારણે તેમનો સંપર્ક થઈ શકતો નથી. માટે સત્વરે એક કાર્યાલય ઉભુ કરવા તેમણે સુચન કર્યુ હતું.
આ સિવાય તેમણે જણાવ્યુ હતું કે, આપ દ્વારા એક એડવોકેટની ટીમ પણ બનાવવી જોઈએ. જેમના દ્વારા કોઈપણ કાર્યમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે. લોકોની ફરીયાદો અને સમસ્યાના નિવારણ માટે યોગ્ય સ્તરે રજુઆત થઈ શકે. એવા અનેક મુદ્દે તેમણે વલસાડના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા. વલસાડ ભંડારી સમાજમાં યોજાયેલા આપના સંમેલનમાં વલસાડના કેતન શાહ, વાપીના ડોક્ટર રાજીવ પાંડે વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના સંમેલનમાં આવેલા કનુભાઈ કલસરીયાએ પત્રકારો સાથેની મુલાકાતમાં જણાવ્યુ હતું કે, તેઓ ૩ વખત ભાજપના પક્ષમાંથી ધારાસભ્ય બન્યા, પરંતુ તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સરકાર સામે જ લડવુ પડ્યુ હતું. ભાજપની ખેડૂત વિરોધી નીતિ તેમણે ખૂબ જ નજીકથી જોઈ છે અને હવે આ જ નીતિ કેન્દ્ર સુધી પહોંચી છે. ત્યારે તેઓ ગુજરાતમાં ૧૮૨ બેઠક પરથી આ બે મુદ્દાને પ્રાધાન્ય આપી ચુંટણી લડી
રહ્યા છે. આ સિવાય તેઓ શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાના ખાનગીકરણનો મુદ્દો પણ ચુંટણીમાં ઉઠાવશે અને વધુમાં વધુ બેઠકો મેળવવા પ્રયાસ કરશે.