વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૂટ હરાજીમાં રૂ. 4.31 કરોડની સૌથી ઉંચી બોલીથી ખરીદનાર સુરતના હીરા ઉદ્યોગકાર લાલજી પટેલના નામે મેસેજ ફરી રહ્યાં છે. જેમાં મોટી ચલણી નોટો બંધ થયા બાદ રૂ. ૬૦૦૦ કરોડ કેન્દ્ર સરકારને સરેન્ડર કર્યા હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગરમાટો આવી ગયો છે. જોકે, આ મેસેજ ખોટો અને માત્ર અફવા જ હોવાનું ઉદ્યોગકારે જણાવ્યું હતું.સુરતના હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ ફરીવાર ચર્ચામાં આવ્યા છે. મોટી ચલણી નોટ બંધ થયા બાદ તેમના નામે એક મેસેજ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેસેજ મુજબ, સુરતના એક હીરા વેપારી અને બિલ્ડર લાલજી પટેલે સરકારમાં રૂ.૬૦૦૦ કરોડ રોકડા જમા કરાવ્યા છે. ઉપરાંત ૩૦ ટકા ટેક્સ પેટે રૂ.૧૮૦૦ કરોડ અને ટેક્સના દંડ મળીને રૂ.૫૪૦૦ કરોડ રોકડા જમા કરાવ્યા છે. આ અંગે લાલજી પટેલને પુછાતા તેમણે કહ્યું કે, બે દિવસથી આ મેસેજ વહેતો થયો છે તે તદ્દન ખોટો છે. હું માત્ર હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું મારું કામ જ નથી. વળી, મારો હીરાનો બિઝનેસ એક્સોપોર્ટ-ઇમ્પોર્ટનો છે. લોકલમાં મારું ક્યાંયે કામ છે જ નહી. આ મેસેજ ખોટો અને અને માત્ર અફવા છે એમ તેમણે ઉમેર્યું હતું.