સીએમની સુરક્ષાની તેમજ સગવડતા સાચવવા માટે સાયન્સસિટીમાં હેંગર-હેલિપેડ બનાવવાનું આયોજન હાથ ધરાયુ છે. જે અવ્યવહારૃ અને બિનઉપયોગી સાબિત થાય તેમ હોવા છતાં 'કટકી' કરી લેવાના ઇરાદે અધિકારીઓ દ્વારા પ્રજાના કરોડો રૃપિયાનો ધૂમાડો કરવાની ગોઠવણ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેલ) દ્વારા સાયન્સસિટીની અંદર નવા ત્રણ હેલિપેડ અને એક હેંગર બનાવવાની કવાયત હાથધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર હેલિકોપ્ટરના રાત્રી પાર્કિંગ માટે હેંગર હોવા છતાં સાયન્સસિટી બાજુ ઉંધી જગ્યાએ હેંગર બનાવવાના પ્રોજેક્ટથી સરકારના કરોડો રૃપિયાનું આંધણ કરાશે. આ હેલિપેડ-હેંગર પરથી સીએમને જો અવરજવર કરવી હશે તો પણ ઘણીય મુશ્કેલી સર્જાશે તેવુ સુત્રો જણાવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ દ્વારા હેંગર બનાવવામાં આવ્યુ છે. સુરક્ષાના કારણોસર સીએમના હેલિકોપ્ટરનું રાત્રી પાર્કિંગ આ હેંગરમાં કરવામાં આવી રહ્યુ છે. સીએમને કાર્યક્રમ કે સભામાં જવા માટે એરપોર્ટના હેંગર પરથી ખાલી હેલિકોપ્ટર રવાના થઇ સચિવાલયમાં બનાવેલા હેલિપેડથી રવાના થાય છે. જો કે ગાંધીનગરમાં હેલિપેડની બાજુમાં હેંગર બનાવવાના બદલે ગુજસેલ દ્વારા સાયન્સસિટીની અંદર જ હેંગર ઉભુ કરવામાં આવી રહ્યુ છે, સાથેસાથે ત્રણ હેલિપેડ બનાવવામાં આવી રહ્યા છે. સીએમને કોઇ સભા કે કાર્યક્રમમાં જવું હોય તો અમદાવાદ એરપોર્ટ જ નજીક હોવાથી ગાંધીનગથી સીધા રવાના થઇ જાય છે. ગાંધીનગરમાં જ હેંગર બનાવવાની જરૃરીયાત છે. જો અહી બને તો સીએમ ઇમરજન્સીમાં ક્યાંય જવાનું થાય તો તેઓ સીધા જ ગાંધીનગરથી જ રવાના થઇ શકે છે સમયની પણ ઘણી બચત થાય તેમ છે. પરંતુ સાયન્સસિટી ખાતે બનાવવામાં આવી રહેલા હેંગર પરથી હેલિકોપ્ટર ગાંધીનગર જાય ત્યાંથી સીએમ રવાના થાય તે રૃટ કોઇ બંધ બેસતો જ નથી તેમ છતાં આટલા મોટા હેંગર બનાવવાના પ્રોજેક્ટથી સરકારના કરોડો રૃપિયાના આંધણ કરવાની કામગીરી શરૃ કરી દેવાઇ છે.