એકબાજુ જ્યાં ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી રહી છે ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાચકડી બોલાવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં મન મુકીને વરસાદ ખાબક્યો છે અને માત્ર ચાર કલાક જેટલા ટૂંકાગાળામાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયુ છે.
સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.ભાવનગરના પાલીતાણા અને આસપાસના વિસ્તારમાં અત્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. અન્યત્ર વરસાદની વાત કરીએ તો આજે અમરેલી-રાજુલામાં પણ વરસાદ પડ્યો હતો.
જામખંભાળિયા ઉપરાંત દ્વારકા, મીઠાપુરા, જુનાગઢ, અમરેલી, રાજુલા, જાફરાબાદ, જામનગર, મોડાસા, દિવ,નડિયાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૬૯ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી સેન્ટર તરફથી મળેલ આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન પેટલાદમાં ૬૧ મીમી, ધ્રોલમાં ૫૫ મીમી, જુનાગઢમાં ૫૫ મીમી, ખેરગામમાં ૫૦ મીમી, ઉમરગામમાં ૭૦ મીમી મળીને કુલ ૬ તાલુકામાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વાપીમાં ૮૦ મીમી, ભાવનગરમાં ૭૮
મીમી, તિલકવાડામાં ૭૨ મીમી એમ કુલ ૩ તાલુકામાં ૩ ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગર-અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ૩થી ૫ ઈંચ સુધી વરસાદ ખાબકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જોકે, હજી અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તરગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા રાજ્યમાં હજી આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં સારો વરસાદ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.