મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું છે કે, રાજય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોની જરૂરિયાત અને આગેવાનોની લાગણીને ધ્યાનમાં લઇ આવતીકાલથી ઉત્તર ગુજરાતની નહેરોમાં પાણી છોડવામાં આવશે. આ મહત્વપૂર્ણ જાહેરાતને ઉત્તર ગુજરાતના ખેડૂતો એ ઉત્સાહપૂર્વક વધાવી ખુશી વ્યક્ત કરી હતી. સરદાર કૃષિ નગર આયોજીત દાંતીવાડા ખાતે કૃષિ મહોત્સવને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં કૃષિ મહોત્સવના આયોજનથી ગુજરાતના ખેડૂતોએ પરંપરાગત ખેતીમાંથી બહાર લાવી વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી અપનાવી છે. પરિણામે કૃષિ વિકાસદાર ૨ ટકાથી વધીને ૧૨ ટકા થયો છે. સાથોસાથ ખેડૂતોને જરૂરી વૈજ્ઞાનિક ખેત પધ્ધતિની સમજ ખેતરે ખેતરે જઇને આપવા સાથે જરૂરી પાણીની વ્યવસ્થા જુદા જુદા સ્ત્રોતો ધ્વારા કરવામાં આવી છે. એટલું જ નહી ગુજરાતના ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો વિદેશમાં પણ પહોંચે તે માટે તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પેરીશીબલ કાર્ગો ખુલ્લો મુકવામાં આવ્યો છે . તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહેશે. જેમ ગુજરાતનું દૂધ સમગ્ર વિશ્વમાં જાય છે તેમ ગુજરાતના ફળફૂલ, શાકભાજી તેમજ ખેત ઉત્પાદનો વિદેશમાં પહોંચશે. કૃષિ મેળાના આયોજનથી ગુજરાતના ખેડૂતોને ઘણો મોટો ફાયદો થયો છે. અગાઉના વર્ષોમાં ખેતીના જરૂરી પાણી માટે કોઇ વ્યવસ્થા ઉભી કરાઇ નહોતી પરંતુ છેલ્લા દસ બાર વર્ષોમાં તળાવો ઊંડા કરવાથી લઇ ચેકઙેમો, ટપક સિંચાઇ જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો આ સરકારે કરી છે. ઉત્તર ગુજરાતમાં વર્ષોથી ફ્લોરાઇડયુક્ત પાણી તેમજ પાણીની અછતનો કાયમી ઉકેલ રાજયની આ સરકાર લાવી છે. સુજલામ-સુફલામ યોજનાથી આ વિસ્તારને રણ થતું અટકાવી શકાયું છે તેમજ ખેતીને જીવતદાન મળ્યું છે.