ગુજરાતમાંથી હજયાત્રાએ જનારા યાત્રીઓ માટે સુવિધા ઊભી કરવા માટે તાજેતરમાં જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યાત્રીઓ માટે એરપોર્ટ પર શામિયાણા ઊભા કરવાની જગ્યા ફાળવવા, બેગેઝ કિલયરિંગ, રિટર્ન ફલાઈટમાં કસ્ટમ્સ કિલયરન્સ, ઈમિગ્રેશન કાઉન્ટર, ઝમઝમના પાણી વિતરણ સહિતની વ્યવસ્થા માટે સંબંધિત ઓથોરિટી સાથે ગુફતેગુ કરવામાં આવી હતી.મહત્ત્વનું છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ગુજરાતમાંથી વધુ ૧૨૦૦ યાત્રીઓ હજયાત્રાએ જવાના છે. ગુજરાતના હજયાત્રીઓની પ્રથમ ફલાઈટનો ૨૧ ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે. ૨૧ ઓગસ્ટથી ૫ સપ્ટે. સુધી સાઉદી એરલાઈન્સની કુલ ૨૫ ફલાઈટ અમદાવાદથી સીધી જિદ્દાહ પહોંચશે. બીજી તરફ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સૌથી વધુ ૭,૫૦૦ હજયાત્રીઓ ગુજરાત રાજય હજ કમિટી મારફત હજયાત્રાએ જવાના છે.ગુજરાત રાજ્ય હજ કમિટીના સેક્રેટરી ઉસ્માન પટેલના જણાવ્યા અનુસાર ગત વર્ષે એર ઇન્ડિયાથી મુસાફરી કર્યા બાદ હાજીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણીવાર ફલાઈટ લેટ થતી હતી.તેમજ ઘણીવાર હાજીઓની પ્રાથમિક સુવિધા પણ સાચવવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ઘણીવાર યાત્રિકોને ધાબળા પણ આપવામાં આવતા ન હતા. સાઉદી એરલાઈન્સની હજ ચાર્ટર ફલાઈટમાં ૩૦૦ હજયાત્રીની ક્ષમતા છે. એ રીતે કુલ ૨૫ ફલાઈટ સીધી જિદ્દાહ રવાના થશે. આ વખતે અમદાવાદ એરપોર્ટ પર યાત્રી માટે હજ કમિટી અને મુહિબ્બાન એ અહલેબૈત ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાશે.ગુજરાતમાંથી હજ કરનારા હાજી આ વર્ષે એર ઇન્ડિયાની ફલાઈટમાં યાત્રા નહી કરે તેના સ્થાને તે સાઉદી અરબ એરલાઈનમાં યાત્રા કરશે. આ નિર્ણય એર ઇન્ડિયાની ફલાઈટના સમયની અનિયમિતતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કેન્દીય હજ કમિટીએ આ નિર્ણય હાલમાં જ લીધો છે. આ પૂર્વે ગુજરાત રાજ્ય હજકમિટીએ કેન્દ્રીય હજ કમિટીને પત્ર લખીને જણાવ્યું હતું કે તે એર-ઇન્ડિયાની સેવા લેવા માટે તેયાર નથી.