શહેરમાં થતી આત્મહત્યાઓને રોકવા પોલીસે શરૂ કરેલી જિંદગી હેલ્પ લાઇને એક યુવકની જિંદગી અને પૈસા બંને બચાવી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જજ સાહેબ સાથેના ફોટા બતાવી મારે જજ સાહેબ સાથે ઓળખાણ છે. તમારા પુત્રને હત્યાના ગુનામાંથી છોડાવી દઇશ એવું કહી એક શક્સે રૂ.પાંચ લાખ પડાવી લીધા હતા. છળકપટથી મેળવેલા પૈસા શખસ દ્વારા પરત ન અપાતાં યુવક પોતે આપઘાત કરવા જઇ રહ્યો હતો પરંતુ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ બહાર લાગેલા જિંદગી હેલ્પલાઇનનાં બોર્ડને જોઇ તેણે હેલ્પલાઇનની મદદ લીધી અને જિંદગી હેલ્પલાઇનમાં કાઉન્સિલિંગ દ્વારા તેની જિંદગી અને પૈસા બંને પરત મળ્યા. જિંદગી હેલ્પ લાઇનના કાઉન્સેલર દ્વાર આરોપીનો મોબાઇલ નંબર મેળવી તેમને રૂબરૂ બોલાવ્યા હતા અને રૂ.પાંચ લાખમાંથી બાકીના ત્રણ લાખ પરત આપવા જણાવ્યું હતું. હેલ્પલાઇનના કાઉન્સેલરની સમજાવટ બાદ આરોપીએ એક અઠવાડિયામાં ફરિયાદીને તેમના બાકીના રૂ.ત્રણ લાખ પરત આપી દીધા હતા. આ રીતે જિદંગી હેલ્પલાઇને એક વ્યક્તિની જિંદગી અને પૈસા બંને બચાવ્યા હતા.