શિક્ષણના અધિકારના કાયદા હેઠળ શાળામાં બાળકોને નાપાસ નહી કરવાની નીતિને આવતા વર્ષથી બદલવા માટે કેન્દ્ર સરકારે મન બનાવ્યુ છે. કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ફેઇલ ન કરવાની નીતિ આવતા વર્ષથી સમાપ્ત કરી શકે છે. આ બાબતે રાજયોની મંજુરી લઇને સંસદમાં ખરડો લાવવામાં આવશે. હાલ શિક્ષણના અધિકારના કાયદા હેઠળ પહેલા ધોરણથી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને નાપાસ નથી કરાતા.
આ કાનૂન 2010થી દેશભરમાં લાગુ છે. એક અભ્યાસ રિપોર્ટ અનુસાર આને કારણે બાળકોમાં અભ્યાસ કરવાની રૂચી ઓછી થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે રાજયો પાસે આ બાબતે સુચનો માંગ્યા હતા. લગભગ 18 રાજયોએ તેને સમાપ્ત કરવા સમર્થન આપ્યુ હતુ. બાકીના રાજયો તરફથી કોઇપણ પ્રતિક્રિયા નહોતી મળી
માનવ સંશાધન વિકાસ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજયો સાથે ચર્ચા-વિચારણા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. 25મી ઓકટોબરે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં રાજયો સાથે આ બાબતે ચર્ચા થશે. જો રાજય સરકારો તૈયાર થઇ જશે તો શિયાળુ સત્રમાં સંશોધન ખરડો લાવી સરકાર આ દિશામાં આગળ વધશે. આ મામલામાં સરકાર હવે વિલંબ કરવા માંગણી નથી.