સમગ્ર વિશ્વમાં નોબલ પુરસ્કાર વિજેતા કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મ દિવસ 14 જુન વિશ્વ રક્તાદાતા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આપણા વડોદરામાં પણ આજે જુદી જુદી જગ્યાએ રક્તદાન શિબિરોનુ આયોજન કરવામાં આવેલ છે. રક્તદાન એ મહાદાન એ યુક્તિના વરેલા વડોદરાના કેટલાક વિરલાઓ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરે છે. ત્યારે રક્તદાન વિશે સાચી સમજ મળે એ જરૂરી છે. અઢાર વર્ષથી પાંસઠ વર્ષની વયની તંદુરસ્ત વ્યક્તિ જેનુ વજન 45 કિલો, હિમોગ્લોબીન 12.5 ગ્રામથી વધુ હોય એવી વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. એક વ્યક્તિ 18 વર્ષની ઉમરથી 65 વર્ષ સુધીમાં દર 85 દિવસે રક્તદાન કરીને જીવનમાં 200 વખત રક્તદન કરી 600 લોકોને જીવતદાન આપી શકે છે. માનવ લોહીની અવેજી નથી. કારખાના કે લેબોરેટરીમાં લોહી બનતુ નથી કે પશુ પક્ષીનું લોહી માનવને આપી શકાતુ નથી. આપણા દેશમાં અંદાજે 1.8 કરોડ બ્લડ યૂનિટની જરૂરિયાત સમે માત્ર 65 ટકા સ્વૈચ્છિક રક્તદાતા પાસેથી મળે છે. ભારતના 60 ટકા વસ્તી રક્તદાન કરવા લાયક હોવા છતા માત્ર 0.5 ટકા લોકોજ રક્તદાન કરે છે. દર બે સેકંડે ભારતમાં કોઈને કોઈ દર્દીને રક્તની જરૂર પડે છે.
એકવાર રક્તદાતા પાસેથી લોહી દાનમાં મેળવ્યા બાદ 35 દિવસ સુધી વાપરવા માટે કે જરૂરમંદ દર્દીને આપવામાટે યોગ્ય રહે છે. ભારતમાં લોહીની માંગ કરતા પુરવઠો હંમેશા ઓછો રહે છે. 100 દર્દીમાંથી 65 મહિલા બહેનો સુવાવડ ઓપરેશન કે પાંડુરોગના લીધે રક્તની જરૂર પડે છે. આમ 65 ટકા લોહીનો જથ્થો બહેનોને જરૂર પડે જેની સમે ફક્ત 10 ટકા બહેનો જ સ્વૈચ્છિક રક્તદાન કરે છે. ગુજરાતમાં 100 વખત કરતા વધારે રક્તદાન કરનાર 140 જેટલા શતક રક્તદાતાઓ છે. વડોદરામાં ડો. ડી.એન. શહએ 155 વખત, ચંદ્રકાંત શાહે 110 વખત અને ડો. નવનીત ગાંધી, હરેશ ગજેરા, રાવલે 78 વખત રક્તદાન કરે છે. રક્તદાનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પહેલા નંબરે અને ગુજરાત બીજા નંબરે છે.
સુરક્તમ બ્લડ બેંકના ડો. આર.બી. ભેસાણીયા વધુમાં જણાવે છેકે 14મી જૂનનો દિવસ સ્વૈચ્છિક રક્તદાતા દિનની થીમ બ્લડ કનેક્ટ્સ અસ ઓલ છે. રક્તદાન કરવાથી કોઈ નુકશાન નથી પણ ત્રણ દર્દીની જીંદગી બચે છે. દૂષિત લોહીથી આમ તો 500 જેટલા ચેપ લાગી શકે છે. તેમ છતા રક્તદાતા પાસેથી મળતા લોહી ઉપર 5 પરકરના મુખ્ય ટેસ્ટ જેવા કે કમળો, એઈડ્સ મલેરિયા અને જાતીય રોગોને લગતા ટેસ્ટ કરવા ફરજીયાત છે. જો રક્તદાતા નિયમિત રક્તદાન કરતો હોય તો કોઈપણ ચેપ પકડાય છે. એટલે શુદ્ધ લોહીની ખાત્રી માત્ર નિયમિત રક્તદાતાથી મળી શકે છે. ધંધાદારી રક્ત વેચાણની મનાઈ છે. તેમ છતા અવેજી રક્તદાન એટલે કે રિપ્લેસમેંટ બ્લડ ડોનરની માંગણીથી તેને વેગ મળી શકે છી. તેવી ચેતવણી ઉચ્ચારતા કહ્યુ હતુ કે નજીકના સગાઓનું લોહી દર્દી માટે ઉત્તમ ગણાય છે એ માન્યતા પણ ખોટીએ છે. તેમા એક વિરલ રોગ થવાની શક્યતા રહે છે.
ગયા વર્ષે 10 લાખ યૂનિટ્સ રક્તનુ દાન ગુજરાતમાં મળ્યુ હતુ અને આ વર્ષે 13 લાખ યૂનિટસ મેળવવાનું લક્ષ્યાંક છે. આ માપદંડની કસોટીમાં પાર ઉતરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે અને તેનુ શ્રેય રાજ્યના સમર્પિત રક્તદાતાઓને અને રક્તદાન સેવા સંસ્થાઓને જાય છે. તેમ છતા દેશમાં પ્રસુતિ સમયે લોહીની અછતથી માતાઓના મરણની ઘટનાઓ હજુ પણ બને છે.
"બ્લડ કનેક્ટ્સ અસ ઓલ" ની થીમ પર ખાસ કરીને સગર્ભા માતાઓ માટે રક્તદાનની વિનંતીના ભાગ રૂપે ક્રોમ્પ્ટન ગ્રિવ્સ કંપની પાદરા-જંબુસર રોડ વડોદરા ખાતે તા. 14 જૂન સવારે 8.30 થી 4 કલાક દરમિયાન તથા ટી.એમ.એલ ટ્રાંસમિટ, પિલોદ્રા ખાતે તા. 17 જૂન સવારે 10થી 2 કલાક દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તમામ સ્વૈચ્છિક રક્તદાતાને પધારવા વિનંતી.