વિજય રુપાણી અને નીતિન પટેલનો અનુભવ રાજ્યને નવી ઉંચાઈએ લઇ જશે તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું. અમિતભાઈ શાહે પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે, નવા મુખ્યમંત્રીને વાયબ્રન્ટ અને ચૂંટણી સુધીનો યોગ્ય સમય મળી તે માટે નવેમ્બરમાં 75 વર્ષ પુરા થતા હોવા છતાં બે મહીના અગાઉ પોતાની નિવૃત્તિ જાહેર કરવાની ભાવના જે જવલ્લે જ જોવા મળે તેવી ભાવના આનંદીબેન પટેલે બતાવી છે. 18 વર્ષની તેમની સુદીર્ઘ કારકીર્દી તેમણે પક્ષને સમર્પિત કરી છે, ટોડરમલ જેવા મહેસુલી કાયદાઓમાં તેમણે સુધારાઓ કરાવ્યા છે, તમામ ક્ષેત્રને સ્પર્શતો વિકાસ તેમણે કર્યો છે ત્યારે આવો, આપણે સૌ તેમને સ્ટેન્ડીંગ ઓવેશન આપી તેમનું અભિવાદન કરીએ.
વર્તમાન રાજકીય પરિસ્થિતિ સંદર્ભે અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, 1995ના સમયને યાદ કરો અને આજના 2016ના ગુજરાત સાથે તેની સરખામણી કરો. ગુજરાતને ભાજપે 24 કલાક વીજળી આપીને અંધકાર મુક્ત બનાવ્યુ છે. પાણીદાર શાસનથી ટેન્ડરમુક્ત કર્યું છે. સલામત જાહેરજીવનથી કર્ફયુમુક્ત બનાવ્યુ છે. 108 જેવી અનેક સુવિધાઓથી તંદુરસ્ત બનાવ્યું છે. પાકા રસ્તાઓનું માળખુ રચીને વિકાસનો રાજમાર્ગ તૈયાર કર્યો છે. વિજયભાઈ રુપાણી 1975માં કટોકટી સમયે 19 મહિના જેલમાં રહ્યા હતા, તેમનો પક્ષ માટેનો સુદીર્ઘ અનુભવ અને 1995થી સળંગ વહીવટીતંત્ર સાથે નાતાનો નીતિનભાઈનો અનુભવ નવી ટીમ માટે સંગઠન અને સરકારનો એક સુભગ સમન્વય ઉભો કરશે. ભાજપની ટીમ નક્કી કરે તો દુશ્મનો પણ ભાજપને કશું નુકસાન કરી શકે નહીં જ. નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ ટૂંક સમયમાં થશે, નવી ટીમ જોમ અને જુસ્સા સાથે શ્રેષ્ઠ શાસન આપી આવનારી 2017ની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવુ છું.
ઉપનેતા તરીકે નિર્વાચિત થયેલા નીતિનભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સૌએ અમારામાં મુકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરુ છું. સરકારના મંત્રીથી ઉપમુખ્યમંત્રીની બનવાની આ મારી નવી જવાબદારી પક્ષના સિદ્ધાંતો અને વિચારધારાની પ્રેરણાથી વધુને વધુ વિકાસ કરીને, વિકાસ યાત્રાને આગળ વધારીને અને રાજયની વધુને વધુ નામના અને પ્રતિષ્ઠા મેળવીને સૌના સાથ સાથે વહન કરીશું.