ઉત્તરખંડના ચમોલી અને ચંપાવત વિસ્તારમાં વાદળ ફાટવાની આજે ધટના બનતા ધળભળાટ થયો હતો. અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. કર્ણપ્રયાગમાં વાદળ ફાટવાની ધટનાથી બદ્રીનાથ હાઈવે ચાર જગ્યાએ બંધ કરવાની ફરજ પડી હતી. ચમોલી, થરાલી વિસ્તારમાં હાલત કફોડી બની હતી. જો કે, જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. આજે સવારે આઠ વાગ્યાની આસપાસ કર્ણ પ્રયાગના ડાંડા વિસ્તારમાં વાદળ ફાટવાની ધટનાથી મોટાપાયે ભેખડો ધસી પડી હતી. કાટમાળ નજીકના 35 મકાનો ઉપર પડયો હતો. મકાનમાં એકાએક કાટમાળ અને પાણી ધુસી જતાં લોકો ધભરાઈને બહાર દોડી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
એસડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે. સ્થાનિક લોકો બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ગયા હતા. જો કે બનાવમાં કેટલાક પ્રાણીઓના મોત થયા હોવાના સમાચાર મળ્યા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગયા બાદ ધણા વાહનો ડુબી ગયા હતા. કેટલાક મકાનો પણ ડુબી ગયા હતા. લોકોને સુરક્ષિત સ્થળોએ જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. કારણ હજુ પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ ઉત્તરાખંડ સરકારે કહ્યું છે કે, સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. બંદ્રીનાથ હાઈવેને બંધ કરવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2013માં ઉત્તરાખંડમાં વિનાશકારી પુરની સ્થિતિ વાદળ ફાટવાની ધટના બાદ સર્જાઈ ગઈ હતી જેમાં હજારો લોકોના મોત થયા હતા. અભૂતપૂર્વ નુકસાન થયું હતું. જેને પહોંચી વળવાના પ્રયાસો હજુ પણ થઇ રહ્યા છે. વાદળ ફાટવાની સાથે સાથે ભારે વરસાદ થયો હતો. ધણી કાર અને વાહનો ભારે વરસાદમાં તણાઈ ગયા હતા. ભેખડો ધસી પડતા બદ્રીનાથ હાઈવેને બંધ કરવાની ફરજ પડી હતી. 2004માં સુનામી બાદથી ભારતમાં સૌથી વિનાશકારી કુદરતી હોનારત 2013માં જૂનમાં થઇ હતી તે ગાળામાં વાદળ ફાટતા ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા.