દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાને ભાજપના સંસદિય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું. જ્યારે રાજ્યના નવા મુખ્યપ્રધાનના નામ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી ન હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન વૈંકેયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે સંસદીય દળ દ્વારા રાજીનામું સ્વીકારી લેવાયું છે. નવા નામ અંગે બેઠકમાં કોઇ ચર્ચા થઇ નથી અને અમિત શાહ પણ મુખ્યમંત્રી નહીં બને. તેમણે એવું પણ કહ્યું હતું કે અમિત શાહના અધ્યક્ષ સ્થાને નવા મુખ્યમંત્રી ગુજરાતની સત્તા સંભાળશે.
આ મંત્રી કોણ હશે તેનો નિર્ણય આગામી મિટીંગમાં લેવાશે. ગુજરાતમાં ગુરૂવારે ધારાસભ્ય દળની મીટિંગ થશે અને એમાં નવા નેતાનો નિર્ણય લેવાશે. આ બેઠકમાં અમિત શાહ, નિતીન ગડકરી અને સુષ્મા સ્વરાજ પણ હાજરી આપશે. કતો બે કેન્દ્રીય નેતાઓ સહ સંગઠન મહામંત્રી વી.સતીશ અને ગુજરાત પ્રભારી દિનેશ શર્મા પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. આ બંને નેતાઓ આજે આખો દિવસ પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો વગેરે સાથે બેઠકો યોજશે. પછી રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ અંગે સહમતિ સાધશે.
હવે આનંદીબહેન મુખ્યમંત્રીના હોદ્દા પરથી સત્તાવાર પોતાનું રાજીનામું રાજ્યપાલ ઓ.પી. કોહલીને સુપરત કરશે અને ભાજપના ધારાસભ્યો તેમણે નવા પસંદ કરેલા ભાજપ વિધાનસભા પક્ષના નેતાનું નામ રાજ્યપાલને સોંપશે. પછી રાજ્યપાલ નવા સીએમના શપથવિધિની સૂચના આપશે.
નવા મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સંભાવના અમિત શાહની જોવામાં આવતી હતી. હવે ફરી વિજય રૂપાણીનું નામ ચર્ચામાં આવી ગયું છે. અમિત શાહની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, મંત્રી નીતિન પટેલ અને પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં હતું. મોહન કુંડારિયાને વિજય રૂપાણીના સ્થાને પ્રદેશ પ્રમુખ બનાવાય એવી સંભાવના છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુરૂવારે અમદાવાદ આવી રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે તેમની હાજરીમાં વિધાનસભા પાર્ટીની બેઠક યોજાશે અને પક્ષના નવા નેતાની વરણી થશે.