ભારતીય જનતા પક્ષના નવા પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં તેઓ નવા છે પરંતુ તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ પક્ષને ફરીથી પાટા પર લાવી દેશે.
1980 થી પક્ષની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના ગડકરી પક્ષના 9માં પ્રમુખ છે. જ્યારે અટલ બિહારી વાજપેઈ પ્રથમ પ્રમુખ હતા.
સંઘ પરિવારના નજીકના મનાતા ગડકરીનું રાજકીય જીવન સાફ રહ્યું છે તથા હજુ સુધી તેઓ કોઈ પણ જાતના વિવાદમાં ફસાયા નથી.
ગડકરી એવા સમયે પક્ષ પ્રમુખ બન્યા છે જ્યારે પક્ષ તેના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પરાજય મળ્યા પછી પક્ષમાં ઘણા વિવાદો અને મતભેદો સપાટી પર આવ્યા હતા.
અત્રે જણાવાનું કે, ભારતીય જનતા પક્ષમાં નવી પેઢીને આગળ લાવવાની કવાયતના ભાગરૂપે શનિવારે નીતિન ગડકરીને પક્ષના નવા અઘ્યક્ષ ચૂંટવામાં આવ્યા. તેઓ ભાજપના અત્યાર સુધીના સૌથી યુવાન અઘ્યક્ષ છે. આ અગાઉ રાજનાથસિંહે અઘ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું હતું.