Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના સ્થાપનાદિવસ, : બૃહદમુંબઈમાંથી કઈ રીતે અલગ થયું ગુજરાત?

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (07:28 IST)
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
 
વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. 'મહાગુજરાત આંદોલન' એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું.
 
હડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ. 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે. રાજ્ય પુનર્રચના પંચે 1955માં ભારત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો.
 
6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો. આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હડતાળનું એલાન આપ્યું. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો. 
 
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં. આ ઘટનાએ ગુજરાતમાં અરાજકતા ફેલાવી દીધી.  અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયાં
 
મહાગુજરાત આંદોલનની ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા. 
 
9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભા મળી અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા. ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી. 2 ઑક્ટોબર, 1956નો દિવસ મહાગુજરાત આંદોલનના જુસ્સાના પ્રતીક સમાન હતો. પંડિત જવાહરલાલ નહેરુની સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં અમદાવાદની લૉ કૉલેજમાં પણ સભા યોજાઈ. ઇન્દુલાલની સભામાં અંદાજે 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નહેરુની સભામાં પાંખી હાજરી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકની સક્રિય ભૂમિકાએ આંદોલનને નવી દિશા આપી ને ઇન્દુલાલ યાજ્ઞિક 'ઇન્દુચાચા' તરીકે ઓખળાયા.
 
આંદોલન દરમિયાન 1957માં ચૂંટણી આવી ને મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયાં. સમગ્ર ગુજરાતમાં ગામેગામ, નગરોમાં આંદોલન વેગવંતુ બનતું રહ્યું. 6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી. બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.
 
આખરે મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યાં. મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદઘાટન થયું. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો. આંદોલનકારીઓ અને ગુજરાત માટે પહેલી મે, 1960ના દિવસે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો.

સંબંધિત સમાચાર

Different types of Bread Pakora recipes- બ્રેડ પકોડાના આ 5 વેરિઅન્ટ અદ્ભુત છે, વીકએન્ડ દરમિયાન ચોક્કસ ટ્રાય કરો.

ઓફિસની સાથે તમારા બાળકના અભ્યાસને મેનેજ કરવા માટે આ 5 ટિપ્સ અનુસરો

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો

જોક્સ- મોબાઈલના જમાના

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

આગળનો લેખ
Show comments