એક્ઝામ સિઝનની શરૂઆત તો થઈ ગઈ.. સ્ટુડન્ટ્સની સાથે સાથે વાલીઓ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હશે.. જે ઘરમાં બોર્ડ સ્ટુડન્ટ્સ હશે તે ઘરમાં આજકાલ પરીક્ષા.. પરીક્ષા..નામની જ બૂમો પડતી હશે.. પણ ત્યારે પ્રશ્ન એ થાય કે ખરેખર શું એક્ઝામ ટાઈમ સ્ટ્રેસફૂલ હોય છે? પરીક્ષા સમયે ટેન્શન લેવું જરૂરી હોય છે?
વિદ્યાર્થીઓ અને વાલીઓના આ દરેક પ્રશ્નોના જવાબ આપી રહ્યાં છે ચાઈલ્ડ સાઈકિયાટ્રિસ્ટ ડૉ. પરમ શુક્લ
પરીક્ષાના દિવસોમાં ઉભો થતો સ્ટ્રેસ માતા-પિતા, આપણી એજ્યુકેશન સિસ્ટમ અને સ્કૂલ્સ દ્વારા જ ઉભો કરાયેલો છે. એક્ઝામ નજીક આવતા સ્ટુડન્ટ્સ પર ખૂબ પ્રેશર આપવામાં આવે છે જેથી સ્ટ્રેસનું વાતાવરણ ઉભુ થાય છે. આપણે એજ્યુકેશન સિસ્ટમમાં તો ખાસ બદલાવ નથી લાવી શક્તા કે સ્કૂલ સિસ્ટમમાં પણ નહીં, પરંતુ ચોક્કસપણે માતા-પિતા પોતાના વર્તન દ્વારા આ સ્ટ્રેસ લેવલ ઓછું કરી શકે છે.
વધતા-ઓછા પ્રમાણમાં આ સ્ટ્રેસ બાળકોના એક્ઝામ સમયના પર્ફોમન્સ પર અસર કરે છે. ત્યારે જાણીએ એવા ફેક્ટર્સ જે બાળકોના પર્ફોમન્સ પર નકારાત્મક રીતે અસર કરે છે.
1. એક્ઝામનો ડર/ફોબિઆ- એંગ્ઝાઈટી- જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય તેમ તેમ ઘણાં વિદ્યાર્થીઓમાં ડર પેદા થતો જાય છે. “હું એક્ઝામમાં સારી રીતે પરફોર્મ તો કરી શકીશ ને?” “મારા ટીચર્સ અને પેરેન્ટ્સને નિરાશ તો નહીં કરું ને?” “બધા મારા પરિણામથી ખુશ તો થશે ને?” “મને પેપર વખતે બધું યાદ તો રહેશે ને?” આવા વિચારો વિદ્યાર્થીઓને હેરાન કરતા હોય છે. જેના કારણે ક્યારેક એક્ઝામ હૉલમાં વિદ્યાર્થીઓ બ્લેન્ક પણ થઈ જતા હોય જેથી તેમને બધુ યાદ હોવા છતાં પણ કંઈ લખી નથી શક્તા. અને પરિણામે જોઈએ તેવું રીઝલ્ટ નથી મળતું.
કેવી રીતે દૂર કરશો આ પરેશાની?- એક્ઝામ પહેલાના સમયમાં ઘરમાં હળવું વાતાવરણ રાખો. વાંચવું એ ખૂબ સારી બાબત છે પરંતુ સાથે જ આરામ, રિલેક્સેશન, ઉંઘ અને યોગ્ય ખોરાક એ બધુ એટલું જ મહત્ત્વનું છે. તમારા બાળકની જરૂરિયાતને ઓળખો અને ઉંચા માર્ક્સ લાવવા માટે તેને વધુ દબાણ ના કરો. બાળકને ખરેખર શેમાં રસ છે તે જાણો. ટાઈમ ટેબલ બનાવો. વાંચવા માટે જેમ તમે બાળકને કહ્યા કરો છો તેવી જ રીતે તેને યોગ્ય રીતે આરામ કરવાનું પણ કહો. યોગ્ય ખોરાક અને પૂરતી ઉંઘ પણ આ સમય દરમિયાન ખૂબ જરૂરી છે.
2. એકાગ્રતામાં ઘટાડો- પરીક્ષા પહેલાના દિવસોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓની આ સમસ્યા રહે છે. વાંચતી વખતે એક જ જગ્યાએ બેસીને તેઓ સળંગ વાંચી નથી શક્તા. ક્યારેક એકાગ્રતા ન રહેવાથી તેઓ પેપર લખતી વખતે નાની નાની ભૂલો કરી બેસે છે, ભૂલી જાય છે, અધીરા બને છે અને ક્યારેક પેપર છોડીને પણ જતા રહે છે.
કેવી રીતે દૂર કરશો આ પરેશાની?- આ પરિસ્થિતિને ADHD કહેવામાં આવે છે જે 10-15% વિદ્યાર્થીઓમાં જોવા મળતી હોય છે. આ પરેશાની થવા પાછળનું મુખ્ય કારણ મગજનું કેમિકલ ઈમબેલેન્સિંગ હોય છે. પણ મેડિકેશન અને બિહેવિઅરલ થેરાપીથી આ પરેશાનીને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે.
3. મૂડમાં બદલાવ- ડીપ્રેશન- આ પણ એક એવી સમસ્યા છે જે કેમિકલ ડિપ્રેશનના કારણે થતી હોય છે. તેના કારણે વિદ્યાર્થી દુઃખી હોય તેવું લાગે, તે એકલો પડી ગયો છે તેવી અનુભૂતિ તેને થાય. નાની નાની વાતમાં ગુસ્સો કરે કે રડ્યા કરે.
કેવી રીતે દૂર કરશો આ પરેશાની?- આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ. માતા-પિતાએ તરત જ આ વાતની નોંધ લેવી જોઈએ. જો આવા કોઈ પણ લક્ષણ બાળકમાં દેખાય તો તરત જ તેના કાઉન્સેલિંગ અંગે વિચારવું જોઈએ. જ્યારે વાલીઓએ પણ બાળકને શાંતિથી, પ્રેમથી બેસાડી તેની ઉદાસીનું કારણ પૂછવું જોઈએ. અને જો બાબત વધુ ગંભીર લાગે તો તરત એક્સપર્ટ પાસે તેને કાઉન્સેલિંગ પાસે લઈ જવું જોઈએ. જેથી બાળકનું ભવિષ્ય બગડતાં અટકી શકે.
માતા-પિતાએ ધ્યાન રાખવાની બાબતો :
તમારા બાળકને જોઈએ એટલો સપોર્ટ કરો
વધુ માર્ક્સ લાવવા બાળક પર દબાણ ના કરશો
તમારા બાળકની સરખામણી અન્ય બાળકો સાથે ન કરશો
બાળક સમય પર ઉંઘે છે કે નહીં, યોગ્ય ખોરાક લે છે કે નહીં, તેને કોઈ બાબતનું ટેન્શન તો નથી ને તે દરેક બાબતની ખાતરી કરતા રહો
જરૂર લાગે તો તમારા બાળકને કાઉન્સેલર પાસે લઈ જતા અચકાશો નહીં