સામાન્ય રીતે નાના ઓપરેશનો હોય તેમાં રિજનલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. નાની ગાંઠ કે કોઈ પણ નાના ઓપરેશનમાં રિજિનલ એનેસ્થેસિયા ઉપયોગમાં લેવાય છે. જ્યારે જનરલ એનેસ્થેસિયામાં આખા શરીરને પેરલાઈસ કરી દેવાય છે જેને કારણે થોડા સમય માટે મસલ્સ કામ કરતા બંધ થાય છે અને દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા ડોક્ટરના હાથમાં આવી જાય છે. થોડા સમય માટે ઓપરેશન દરમિયાન એનેથેસિસ્ટ દર્દીના શ્વાસનું સંચાલન કરે છે. ઓપરેશન સમયે એનેસ્થેસિસ્ટનું મહત્ત્વ સર્જન જેટલું જ બની રહે છે.
નાની મોટી કોઈ પણ સર્જરીમાં જનરલ કે રિજિનલ એનેસ્થેસિયા કેટલી હદ સુધી આપી શકાય? તે અંગે વધુમાં જણાવતાં ડોક્ટરે કહ્યું હતું કે, ''કેન્સર કે મગજ અથવા તો કોઈ પણ કોમ્પ્લિકેટેડ સર્જરી જેવી કે એક્સિડન્ટ, મલ્ટિપલ ફેક્ચર, ત્રણથી ચાર ઓપરેશન એકી સાથે એક જ વ્યક્તિ પર કરવામાં આવે તો તે વ્યક્તિને સામાન્ય રીતે ૧૨ કલાકથી શરૃ કરીને ૧૮ કલાક સુધી બેભાન રાખી શકાય. આ સમયે દર્દીના બીપી, ટેમ્પ્રેચર અને કિડની સહિતની તમામ બાબતો પર સતત ધ્યાન આપવું પડે છે. ૧૮ કલાકથી વધુ સર્જરીની જરૃર પડે તો તેને બે તબક્કામાં વહેંચવી પડે છે.''