Publish Date: Fri, 25 Jan 2019 (12:34 IST)
Updated Date: Fri, 25 Jan 2019 (12:36 IST)
રિજિયોનલ એર કનેક્ટિવિટી સ્કિમ હેઠળ અમદાવાદથી ઓઝાર (નાસિક) હવાઈ સેવાનો આરંભ 13 ફેબ્રુઆરીએ થશે. જેનાથી શિરડી, શનિદેવ- શિંગણાપુર અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ જવુ વધુ સરળ બનશે. તેમ ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યુ હતુ.
ઉપરોક્ત હવાઈ સેવા માટે અમદાવાદ એરપોર્ટથી 70 મુસાફરોની ક્ષમતા ધરાવતા વિમાનનો ઉપોયગ કરવામાં આવશે. તેની ટિકિટનો દર રૂ.2060 રાખવામાં આવ્યો છે. તેમ કહેતા ઉડ્ડયન મંત્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ત્રણ વોટર ડ્રોમ એરિયા અને 13 અન્ય રૃટ ઉપર હવાઈ સેવા શરૃ થશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાંથી સુરત, રિવરફ્રન્ટથી શેત્રુંજી ડેમ સિ-પ્લેન દ્વારા હવાઈ મુસાફરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદથી ડિસા અને ત્યાંથી જેસલમેર, જોધપુરની વિમાન સેવા શરૃ કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કર્યાનું જણાવતા તેમણે કહ્યુ કે, એપ્રિલ મહિનામાં અમદાવાદથી ઉદેપુર, અમરેલીથી સુરત, જામનગરથી બેંગ્લોર- હૈદરાબાદ, સુરતથી લોનાવાલા, અમદાવાદથી ઉજ્જૈન- છીંદવાડા- ઈન્દોર-દાંતિયા, બેલગામથી વડોદરા, એમ્બીવેલીથી સુરત, જામનગરથી ગોવા સહિત કુલ ૧૩ હવાઈ યાત્રાના રૂટ શરૂ કરવાનું આયોજન છે.