Publish Date: Thu, 24 Jan 2019 (16:55 IST)
Updated Date: Thu, 24 Jan 2019 (16:57 IST)
અલ્પેશ ઠાકોરની ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે મુલાકાત બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી જોરદાર અટકળો શરુ થતાં ખુદ અલ્પેશે તેના પર ખુલાસો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, મારા નામની માત્ર અફવા ફેલાવાઈ રહી છે. અલ્પેશે શંકર ચૌધરી સાથેની મુલાકાત માત્ર ઔપચારિક ગણાવી હતી.અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા દિયોદરમાંથી નીકળી ત્યારે ભાજપના નેતા શંકર ચૌધરી તેમને સામેથી મળવા આવ્યા હતા, અને બંને નેતાઓ વચ્ચે થોડોક સમય મુલાકાત થઈ હતી. કોંગ્રેસના નેતાઓ સામે હાલના જ સમયમાં નારાજગી જાહેર કરી ચૂકેલા અલ્પેશ ઠાકોરની સાથે તેમના સમર્થક ગણાતા ત્રણેક ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. તેમાંય અલ્પેશે શંકર ચૌધરી સાથે મુલાકાત કરતા લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટો રાજકીય અપસેટ સર્જાય તેવી અટકળો શરુ થઈ છે. અલ્પેશે એવી પણ કબૂલાત કરી હતી કે, જો સરકારમાં હોઈએ તો તેનો ફાયદો થાય અને સમાજ માટે કામ કરી શકાય. અલ્પેશે જણાવ્યું હતું કે, સત્તા નથી એટલે સ્વાભાવિક છે કે તકલીફ તો પડે. ઠાકોરે કહ્યું હતું કે, તેમનો સ્વાભિમાન અને સમ્માન સાથેના પદનો તેમનો મુદ્દો છે. આ નિવેદનથી અલ્પેશે આડકતરી રીતે જણાવ્યું છે કે કોંગ્રેસમાં તેમનું સમ્માન નથી જળવાતું