Publish Date: Mon, 16 Apr 2018 (12:41 IST)
Updated Date: Mon, 16 Apr 2018 (12:47 IST)
રાજ્યમાં તા૫માનનો પારો જેમ જેમ ઉ૫ર જઇ રહ્યો છે તેમ તેમ લોકો અસહ્ય ગરમીથી અકળાઇ રહ્યા છે. ગઇકાલે એક દિવસમાં તિવ્ર ગરમી લાગવાના કારણે રાજ્યમાં 79 લોકો બેભાન થઇ ગયા હતાં. જ્યારે 385 લોકોને લૂ લાગી જતા નાની-મોટી સારવાર આ૫વાની જરૂર ૫ડી હતી. અમદાવાદમાં કાલે રવિવારે 40.3 ડિગ્રી ગરમીનો પારો જોવા મળ્યો હતો. જેને લઇને અમદાવાદમાં 117 લોકોની તબિયત લથડી ગઇ હતી. જેઓને તાત્કાલિક ધોરણે ઇમરજન્સી સેવા 108ની મદદથી સારવાર આપવાની ફરજ પડી હતી.
રાજ્યમાં આજે ગરમીને લગતા કુલ 385 કેસ નોંધાયા હતા. ગરમીના કારણે આજે રવિવારે 79 લોકો મુર્છિત થઇ ગયા હતા. રાજયમાં સૌથી વધુ પેટના દુખાવાના 105 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ગરમીને કારણે પેટના દુખાવાના 28, છાતીમાં દુખાવાના 16, ચક્કર આવવાથી પડી જવાના 12 કેસ નોંધાયા હતા. અસહ્ય ગરમીને લઇને પ્રાણીઓની પણ દયનીય હાલત થઇ જવા પામી છે. આ અંગે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નં.1962 માંથી જાણવા મળતી માહિતી મુજબ પ્રાણીઓને લગતા કુલ કેસોમાંથી 26 ટકા કેસ ગરમીને લઇને ડિહાઇડ્રેસનને લગતા આવી રહ્યા છે. ગાય, ભેંસ, શ્વાનને વધુ પ્રમાણમાં ડિહાઇડ્રેસન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 2600 જેટલા પશુ-પક્ષીઓને ડિહાઇડ્રેસનમાં સારવાર અપાઇ ચૂકી છે. પ્રાણીઓને આરએલ અને એનએસ ના ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવી રહ્યા છે. આકાશમા ઉંચાઇએ ઉડતી સમડીઓ ગરમીને કારણે જમીન પર પટકાવાના પણ કિસ્સાઓ નોંધાયા છે.