Publish Date: Fri, 24 Apr 2020 (14:22 IST)
Updated Date: Fri, 24 Apr 2020 (14:23 IST)
ગુજરાતમાં ૧૫ એપ્રિલ બાદ કોરોના વાયરસ વધુ વિકરાળ બન્યો છે અને છેલ્લા પાંચ દિવસમાં જ કુલ ૧૨૪૮ કેસ નોંધાઇ ચૂક્યા છે. હવે માત્ર સુરેન્દ્રનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી એમ ચાર જિલ્લા એવા છે જ્યાં કોરોના પગપેસારો કરવામાં નિષ્ફળ રહ્યું છે. ગુરુવારે સાંજની સ્થિતિ પ્રમાણે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં ૨૬૨૪ કેસ નોંધાયા છે અને ૧૧૨ના મૃત્યુ થયા છે. આ ૨૬૨૪ પૈકી ૧૬૫૨ એટલે કે ૬૨.૯૬% કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે જ્યારે અન્ય ૨૮ જિલ્લાઓમાં કોરોનાના કેસનું પ્રમાણ ૩૭.૦૪% છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન ગુજરાતમાં કુલ ૨૦૫૨ કેસ નોંધાયા છે. જેમાં ૧૮થી ૨૩ એપ્રિલ દરમિયાન ૨૦ એપ્રિલના અપવાદને બાદ કરતાં દરરોજના ૨૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ૧૮ માર્ચે નોંધાયો તેના ૨૬ દિવસ સુધી કુલ કેસની સંખ્યા ૫૭૨ હતી. આ ઉપરથી ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે. કોરોનાના સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્ર ( ૬૪૨૭) મોખરે, ગુજરાત બીજા, દિલ્હી (૨૩૭૬) ત્રીજા, રાજસ્થાન (૧૯૬૪) ચોથા અને મધ્ય પ્રદેશ (૧૬૮૭) પાંચમાં સ્થાને છે. ગુરુવારે રાત્રે ૯ઃ૩૦ સુધી સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ ૧૬૪૮ કેસમાંથી ૯૯૫ તો માત્ર ગુજરાતમાંથી જ નોંધાયા છે.