Publish Date: Fri, 24 Apr 2020 (13:06 IST)
Updated Date: Fri, 24 Apr 2020 (13:08 IST)
અમદાવાદ શહેરમાં પોલીસ લોકડાઉનનો કડક અમલ કરવા લોકોને વાંરવાર સૂચના અને અપીલ કરે છે. છતાં લોકો સાંજ પડતા જ ઘરની બહાર નીકળી પડે છે. વસ્ત્રાપુર વિસ્તારમાં ગીર ફાઉન્ડેશન વન ચેતના કેન્દ્ર ગાર્ડનમાંથી ઇવનિંગ વોક કરી બહાર નીકળેલા 6 મહિલા સહિત 7 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. લોકડાઉનના પગલે વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ગીર ફાઉન્ડેશન વન ચેતના કેન્દ્ર ગાર્ડનમાંથી 6 મહિલા અને એક પુરુષ બહાર નીકળ્યા હતા. પોલીસે તેઓને રોકી લોકડાઉનમાં બહાર નીકળવા અંગે પૂછપરછ કરી હતી. ઇવનિંગ વોક કરવા આવેલા આ તમામ સામે પોલીસ જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પોલીસે લોકડાઉનમાં બહાર નીકળેલા લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી