ગીરનારના જંગલમાં જૈનમુની ગાયબ થઈ જતાં શોધવા આકાશ પાતાળ એક કરી નાંખ્યું
Publish Date: Thu, 31 Jan 2019 (12:16 IST)
Updated Date: Thu, 31 Jan 2019 (12:18 IST)
ગિરનાર જંગલમાં વ્યક્તિઓ ભેદી રીતે ગાયબ થતા હોય છે અને તેમની પાછા આવવાની આશા રાખવી વ્યર્થ બને છે. ત્યારે એક દિગમ્બર જૈન મુનિ આ જંગલમાં ગુમ થયા છે. દિગમ્બર જૈન મુનિ મુદીત સાગરજી મહારાજ સાહેબ બે દિવસથી ગુમ છે. તેઓ ગત તા. 23ના રોજ સંઘ સાથે જુનાગઢ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ ગિરનાર પર્વત અને જંગલમાં જૈન મુનિ નેમીનાથજીના દર્શન કરવા ગયા બાદથી ગુમ છે. ગિરનાર પર્વત જૈન દેરાસરે ઉપર ગયા બાદ તેઓ પરત ન આવ્યા. પોલીસ અને વન વિભાગે 10 ટીમો બનાવી તેમની શોધખોળ શરૂ કરી છે. ગિરનારની ખીણ અને જંગલમાં વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. દિગંબર જૈન મુનિ મુદીત સાગરજી મહારાજ સાહેબ ગુમ થતા જૈન સમાજમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ અને વન ખાતાના અધિકારીઓની આગેવાની નીચે ટ્રેકર ટીમે સમગ્ર ગિરનાર ખૂંદી નાખ્યો છે. ત્યારે આ ગેબી ગિરનારમાં જૈન મુનિ ક્યાં ખોવાયા છે તે ચિંતાનો વિષય છે. તો બીજી તરફ, મુનિને શોધવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ લેવાયો હતો. આમ, 8મા દિવસે પણ જૈન મુનિની કોઈ ભાળ મળી નથી.
આગળનો લેખ